સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછીથી કરણ જોહર ઘણો ચર્ચામાં છે. તેની પર નેપોટિઝ્‌મ અને પક્ષપાતના આરોપો વારંવાર લાગી રહ્યા છે. આ દરમિયાન રિયાલિટી શો નચ બલિયેની સાથે જોડાયેલા સમાચાર વાઈરલ થયા છે. સૂત્રો પ્રમાણે, કરણ આ વર્ષે પણ શોમાં પ્રોડ્યુસર હશે, પરંતુ અમારા સૂત્રો પ્રમાણે, કરણ માટે હવે નચ બલિયે સાથે જોડાવવું અશક્ય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નચ બલિયે ૧૦ માટે ચેનલ કોઈ બીજા પ્રોડક્શન હાઉસ સાથે જોડાવવા માગે છે. છેલ્લી સીઝનમાં સલમાન ખાનના પ્રોડક્શન હાઉસે શો સંભાળ્યો હતો પરંતુ ચેનલ હવે કોઈ બીજું પ્રોડક્શન હાઉસ શોધી રહ્યું છે. આ દરમિયાન કરણ જોહરના ધર્મા પ્રોડક્શને શોને પ્રોડ્યુસ કરવાની ઈચ્છા જણાવી છે. શરૂઆતમાં ચેનલ કરણ સાથે કામ કરવા માટે રાજી હતી પરંતુ હવે આ ડીલ આગળ વધી રહી નથી.

કરણ જોહર હાલ સોશિયલ મીડિયામાં ઘણી ખરાબ રીતે ટ્રોલ થઇ રહ્યો છે. આ દરમિયાન ચેનલ કોઈ રિસ્ક લેવા માગતું નથી. હાલ ચેનલ બીજા પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી રહ્યું છે. રોહિત શેટ્ટીની ટીમ સાથે પણ વાતચીત ચાલી રહી છે.