મુંબઇ

મહારાષ્ટ્રમાં કોરોના કેસના રાફડો ફાટ્યો છે. આ જ કારણે રાજ્ય સરકારે વીકેન્ડ પર લૉકડાઉન જાહેર કર્યું છે. આટલું જ નહીં રાતના આઠથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. 30 એપ્રિલ સુધી આ મિની લૉકડાઉન રહેશે. આ જ કારણથી 30 એપ્રિલના રોજ અક્ષય કુમારની 'સૂર્યવંશી' રિલીઝ થશે નહીં.

રાજ્યમાં કોવિડ 19ની પરિસ્થિતિને કારણે મુખ્યમંત્રીએ રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રોહિત શેટ્ટીએ ફિલ્મ રિલીઝ ના કરવાની વાત કરી હતી. રોહિત શેટ્ટીએ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન રાખતાં મુખ્યમંત્રીએ ડિરેક્ટરના વખાણ કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ ફિલ્મ 27 માર્ચે રિલીઝ થવાની હતી, પછી 24 માર્ચે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરતાં ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી.

આ વર્ષે સ્થિતિ થોડી સામાન્ય થતાં 30 એપ્રિલના રોજ ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થઈ છે. રોજે રોજ કોરોનાના નવા કેસો આવી રહ્યાં છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ ઘણી જ ભયાવહ છે. આ જ કારણે ફિલ્મ રિલીઝ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.