રાજપીપળા, રાજપીપળા નગરપાલિકાના ચુંટણી પરિણામો જાહેર થયા છે.જેમાં ભાજપને ગત વખત કરતા પણ ૧ બેઠક વધારે મળી છે.આ વખતે નગર પાલિકામાં ભાજપને બહુમતી માટેના જાદુઈ આંકડા ૧૫ કરતા એક બેઠક વધુ એટલે કે ૧૬ બેઠકો મળી છે.રાજપીપળા નગર પાલિકામાં ભાજપના ચૂંટાયેલા ૧૬ સભ્યો પૈકી ૧૨ ઉમેદવારો એકદમ બિન અનુભવી ખેલાડીઓ છે. જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ૬ પૈકી ૩ અને અપક્ષ ૬ પૈકી ૩ બિન અનુભવી ખેલાડીઓ છે, આમ પાલિકાના ૨૮માંથી કુલ ૧૮ સભ્યોને પાલિકા વહીવટનો બિલકુલ અનુભવ નથી ત્યારે રાજપીપળા પાલિકાનો વહીવટ કેવો થાય છે એ જાેવું રહ્યુ.
વર્ષ ૨૦૧૫ની વાત કરીએ તો પ્રથમ અઢી વર્ષ માટે રાજપીપળા નગરપાલિકામાં કોઈ સમિતિની રચના થઈ જ ન્હોતી, એનું કારણ આપતા ભાજના હોદ્દેદારો એમ જણાવી રહ્યા હતા કે કોઈ સભ્યો પાસે વહીવટનો એટલો સારો અનુભવ નથી મોટાભાગના નવા સભ્યો છે, આ વખતે પણ અનુભવી કરતા બીન અનુભવીઓની સંખ્યા વધારે છે ત્યારે ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન થાય છે કે કેમ એ જાેવું રહ્યુ.
પાલિકામાં આ વખતે રાજપૂત પરિવારની ત્રીજી પેઢીના સભ્યે જીત હાંસિલ કરી છે.રાજપીપળા પાલિકામાં દાદા ડો.જે.સી.ગોહિલ બાદ પુત્ર સ્વ.અલકેશસિંહ ગોહિલે જીત મેળવી હતી અને પ્રમુખપદ પણ શોભવ્યું હતું.હવે સ્વ.અલકેશ સિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલે રેકોર્ડ બ્રેક મતોની સરસાઈથી જીત મેળવી છે, હવે દાદા અને પિતા બાદ પુત્ર કુલદીપસિંહ ગોહિલની પણ રાજપીપળા પાલિકાના પ્રમુખપદે વરણી થશે એ વાત ચોક્કસ છે. રાજપીપળા પાલિકા ચૂંટણીના પરિણામમાં ઘણા અપસેટ સર્જાયા છે.રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ પતિ -પત્નીના ૨ જાેડાએ ઉમેદવારી કરી હતી.જેમાં વોર્ડ ૭માંથી નિલેશભાઈ અટોદરિયા અને એમની પત્ની મીનાક્ષીબેન અટોદરિયાએ જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે.જ્યારે ભરત વસાવાની જીત થઈ છે તો એમની પત્ની ભારતીબેન વસાવાએ હારનો સામનો કરવો પડ્યો છે.બીજી બાજુ સંજય માછી અને પત્ની કવિતા માછી પણ હારી ગયા છે.રાજપીપળા પાલિકામાં વિપક્ષ નેતા મુંતઝીરખાન શેખ અને વેરા વધારા મુદ્દે લડત લડનારા મહેશ વસાવાને પણ જનતાનો સાથ નથી મળ્યો એમની પણ હાર થઈ છે.આ વખતે યુવા લોકો વધારે ચૂંટાઈને આવ્યા રાજપીપળા પાલિકા વોર્ડ નં.૫માંથી ૨૮ વર્ષીય સાહેનૂર બીબી શાહરુખખાન પઠાણ, વોર્ડ ૨ માંથી ૨૨ વર્ષીય રિચાબેન ભરતભાઈ વસાવા, વોર્ડ ૩માંથી વૈશાલી પ્રગ્નેશ માછી, હેમંત માછી, વોર્ડ ૪માંથી ગિરિરાજ ખેર, આશિષ ડબગર, કિંજલ તડવી, વોર્ડ ૧માંથી મંજુર ઈલાહી યુસુફભાઈ સોલંકી પાલિકા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે યુસુફભાઈ સોલંકી રાજપીપળા પાલિકામાં વર્ષોથી ચૂંટાઈ આવતા હતા, એમના અવસાન બાદ એમના પુત્ર મંજુર ઈલાહીએ લોકોએ ચૂંટી કાઢ્યા હતા, પિતાના મૃત્યુ બાદ પુત્રની જીતને લોકોએ વધાવી હતી.
Loading ...