લોકસત્તા વિશેષ : બીસીએના રોજબરોજના વહીવટમાં ચૂંટાયેલી પાંખને માર્ગદર્શન આપવાની તથા રોજીંદી કામગીરી નિરંતર ચાલે તે માટે લોઢા કમિટિની ભલામણ મુજબ નિયુક્ત કરેલા બીસીએના સીઈઓ દ્વારા લાખો રૂપિયાનો પગાર લઈને પણ દાખવવામાં આવેલી બેદરકારીના કારણે બીસીસીઆઈ સમક્ષ બીસીએને ભોઠા પડવાનો વારો આવ્યો હતો. જેમાં બીસીસીઆઈની આગામી એજીએમમાં બીસીએના પ્રતિનિધિ તરીકે પ્રમુખ પ્રણવ અમીનનું નામ એપેક્ષ કાઉન્સિલની પરવાનગી મેળવ્યા સિવાય મોકલી આપવામાં આવ્યું હતું. જે બાબત બીસીસીઆઈના ધ્યાને આવતા તેઓએ સમગ્ર બાબત બીસીએને પરત મોકલી આપી હતી. જાેકે સીઈઓ દ્વારા કરવામાં આવેલી ભૂલને ઢાંકવા માટે એકશનમાં આવેલા બીસીએના ટ્રેઝરરે તમામ એપેક્ષ કાઉન્સિલના સભ્યોને ફોન કરી સરક્યુલર ઠરાવ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આગામી ૨૪ ડિસેમ્બરે બીસીસીઆઈની વાર્ષિક સાધારણ સભા એટલેકે એજીએમ મળનાર છે. આ બેઠકમાં બીસીએમાંથી તેના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા માટેનું નામ ચોક્કસ પ્રક્રિયા કરીને મોકલવાનું હોય છે. આ પ્રક્રિયા પુરી કરવા માટે બીસીસીઆઈ તરફથી ૧૦ ડિસેમ્બરની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી. જેમાં એપેક્ષ કાઉન્સિલનો ઠરાવ કરી જરૂરી ફોર્મ ભરી બીસીસીઆઈને ૧૦ ડિસેમ્બર પહેલાં મોકલવાના હતા. પરંતુ બીસીએનો લાખો રૂપિયાનો પગાર મેળવતા સીઈઓ દ્વારા આ અંગે કોઈ કાળજી રાખવામાં આવી નહીં અને એપેક્ષ કાઉન્સિલના ઠરાવ સહિતની એક પણ પ્રક્રિયા પુરી કર્યા વગર સીધે સીધું પ્રમુખ પ્રણવ અમીન એજીએમમાં હાજર રહેશે તેવો ઈ-મેઈલ મોકલી આપવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રક્રિયા અધુરી હોઈ બીસીસીઆઈ દ્વારા બીસીએને સમગ્ર પ્રકરણ પરત મોકલી આપવામાં આવ્યું હતું.
બીસીએના સીઈઓની આ બેદરકારીના કારણે બીસીએ માટે મુંબઈ સ્થિત વડી સંસ્થામાં નીચાજાેણું થયું હતું. જાેકે સીઈઓની બેદરકારી બાદ શનિવારે એકશનમાં આવેલા ખજાનચીએ તમામ એપેક્ષ કાઉન્સિલ સભ્યોને વિશ્વાસમાં લઈ સરક્યુલર ઠરાવ કરી સર્વાનુમતે પ્રમુખ પ્રણવ અમીનનું નામ બીસીસીઆઈની એજીએમ માટે મોકલવાનો ઠરાવ કર્યો હતો.
Loading ...