નડિયાદ : એન.ટી.ઈ.પી પ્રોગ્રામ હેઠળ નડિયાદ જિલ્લા ક્ષયકેન્દ્ર દ્વારા ટી.બી.ફોરમની બેઠકનું આયોજન કલેકટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામા કરવામાં આવેલ હતું. કલેકટર દ્વારા ખેડા જિલ્લામાં ટીબીનાં દર્દીઓ માટે અપાઈ રહેલી સેવા સહિત ઉપલબ્ધ સાધનો, દવાઓ તથા ક્ષય પોષણ સહાય યોજનાની બાબતોની જાણકારી મેળવી હતી. આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીબી નાબૂદી અંગે ઘડી કાઢવામાં આવેલી કાર્ય યોજનાની જાણકારી આપી હતી.  

ખેડા જિલ્લામાં જિલ્લા ટીબી ફોરમની રચના કરવા બાબતની યોજાયેલી આ અગત્યની બેઠકમાં ઉપયોગી માર્ગદર્શન આપતા કલેકટરે ખેડા જિલ્લામાંથી ક્ષયરોગને દેશવટો આપવા માટે પરસ્પર સંકલન અને સહયોગ સાથે પરિણામલક્ષી કામગીરીની હિમાયત કરી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.એન.દેવ દ્વારા ક્ષયરોગ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે અસરકારક પ્રચારકાર્ય ઉપર ભાર મૂક્યો હતો. સમાજમાંથી ક્ષયરોગના છુપા દર્દીઓને શોધી તેમને શ્રેષ્ઠ સારવાર અને સુશ્રુષા પૂરી પાડી અન્ય દર્દીઓને પણ આ બાબતે પ્રોત્સાહિત કરવાની હિમાયત કરી હતી. ઉત્કૃષ્ટ આઈઈસી એક્ટિવિટીનાં માધ્યમથી ટીબી રોગ અને તેની ઉપલબ્ધ સારવારની જાણકારી છેવાડાનાં માનવી સુધી પહોંચાડવાની આપણી સહિયારી જવાબદારી છે, તેમ જણાવ્યું હતું.

ડો.આર.બી.કાપડિયા ડીટીઓ ખેડા દ્વારા ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં ટીબી રોગ અંગેની આંકડાકીય જાણકારી સહિત દર્દીઓને અપાતી સારવાર અને સહાય બાબતની વિગતો આપતાં ડો.કાપડિયા દ્વારા ફોરમનાં નિયુક્ત સભ્યોને પરસ્પર સંકલન તથા સહયોગની ભાવના વ્યક્ત કરી હતી, જેમાં નડિયાદ તાલુકાનાં ટીબી ચેમ્પિયન તેમજ ફોરમનાં તમામ સભ્યઓ તથા જિલ્લા ક્ષયકેન્દ્ર નડિયાદનો સ્ટાફ હાજર રહ્યો હતો.