દિલ્હી-

સુપ્રીમ કોર્ટે નિયામક તંત્રના અભાવે વેબ પોર્ટલ્સ અને યુટ્યૂબ ચેનલો પર ચાલી રહેલા ફેક ન્યૂઝ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ જવાબદારી વિના વેબ પોર્ટલ પર સામગ્રી પીરસવામાં આવી રહી છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેચ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં મરકજ નિઝામુદ્દીન ખાતે ધાર્મિક બેઠક સાથે સંબંધિત બનાવટી સમાચારોનો ફેલાવો અટકાવવા અને કડક પગલાં લેવા માટે કેન્દ્રને નિર્દેશો આપવાની માગ કરવામાં આવી હતી. આ માટે જવાબદારો સામે પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. બેન્ચે સવાલ કરતાં કહ્યું હતું કે સમાચાર ચેનલોના એક ભાગમાં જાહેર કરવામાં આવતા લગભગ દરેક સમાચારમાં સાંપ્રદાયિક રંગ હોય છે. આનાથી દેશની બદનામી થવાનો ભય રહેલો છે. શું તમે આવી ચેનલોને નિયમનમાં લાવવા પ્રયત્ન કર્યો? સોશિયલ મીડિયા માત્ર શક્તિશાળી અવાજાેને સાંભળે છે અને કોઈપણ જવાબદારી વગર ન્યાયાઘીશો, સંસ્થાઓ વિરુદ્ધ ઘણી વસ્તુઓ લખવામાં આવતી હોય છે. બેન્ચે કહ્યું હતું કે વેબ પોર્ટલો અને યુટ્યૂબ ચેનલોમાં ફેક ન્યૂઝ માટે કોઈ નિયંત્રણ નથી. જાે તમે યુટ્યૂબ ખોલશો તો ફેક ન્યૂઝ સરળતાથી પ્રસારિત થાય છે અને કોઈપણ યુટ્યૂબ પર એક ચેનલ શરૂ કરી શકે છે.