માંડવી, સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં સાઠવાવ ગામ ખાતે માંડવી અને માંગરોળ તાલુકાનાં આદિજાતિ વિસ્તારમાં સિંચાય સુવિધા માટે ૫૭૦ કારોડનાં ખર્ચે તૈયાર થયેલ કાકરાપાર - ગોરધા - વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનું ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. જેમાં ૨૩ - લોકસભાના સંસદ પ્રભુભાઈ વસાવાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીનાં હસ્તે દીપપ્રાગટય કરી સાંસદ અને વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવા દ્વારા સાલ ઓઢાડી તેમનું સન્માન કરાયુ હતું. અને ત્યારબાદ સંપૂર્ણ સિંચાય યોજનાની ઝાંખી પ્રોજેક્ટરનાં માધ્યમથી ઉપસ્થિત તમામને બતાવવામાં આવી હતી. 

ત્યારબાદ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિંચાય યોજનાનાં લોકાર્પણની સૌને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે માંડવી અને માંગરોળ તાલુકનાં કેટલાક ગામો ઊંચાણ પર હોય તથા ડુંગરાળ પ્રદેશ હોવાથી નજીકમાં ઉકાઈ તથા કાકરાપાર ડેમ હોવા છતાં તે ગામો સિંચાય સુવિધાથી વંચિત રહેતા હતા. તો તેવા ગામોને સિંચાય સુવિધા આપવા માટે ભા.જ.પ. સરકાર દ્વારા ડુંગરાળ પ્રદેશમાં બાંધકામ કરવા તેમજ અન્ય ભૌગોલિક પડકારોનો સામનો કરી અને કોરોના જેવી મહામારીમાં પણ કામ બંધ ન કરી સિંચાય યોજનાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.