ભરૂચ, દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના આજે ૧૯ માં દિવસે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભાજપના ધારાસભ્યોના ઘરના ઘેરાવો કરવાની જાહેરાત કરતા ભરૂચમાં રહેતા બે ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ વિધેયકો ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે દિલ્હી નજીક છેલ્લા ૧૯ દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આજરોજ ભાજપના ધારાસભ્યોના ઘરનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના ઘર અને ઓફીસ બહાર તેમજ જિલ્લા ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલ ધારાસભ્યોના ઘરના ઘેરાવાના કાર્યક્રમમાં ભરૂચમાં કોઈ કાર્યક્રમ યોજાયો ન હતો અને કોઈ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ન હતું જાે કે પોલીસ દ્વારા સુરક્ષાના કારણોસર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ખેડૂત આંદોલન અંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન હવે રાજકીય બની રહ્યું છે.