મુંબઇ

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યાનુસાર આ મહિનાના અંત સુધીમાં આ બંને લગ્નના બંધનમાં બંધાશે. ગયા વર્ષે મે મહિનામાં વરૂણ-નતાશાના લગ્ન થવાના હતા, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે બંનેએ લગ્ન મુલતવી રાખ્યા હતા.

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન માટે અલીબાગની એક હોટલ બુક કરાઈ છે. લગ્ન પંજાબી રિવાજોથી થશે. એક રિપોર્ટ અનુસાર લગ્નમાં 200 લોકો ભાગ લેશે. તાજેતરમાં જ વરૂણ ધવન લગ્નની તૈયારી જોવા અલીબાગની ફાઇવ સ્ટાર હોટલ પહોંચ્યો હતો. વરૂણ ધવન અને નતાશા દલાલ વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણા ખાસ પ્રસંગોએ પણ સાથે જોવા મળે છે. આ કપલના ફોટા પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કોફી વિથ કરણ સિઝન 6 માં વરુણ ધવનએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તે નતાશા દલાલને ડેટ કરી રહ્યો છે. 

અભિનેતાએ તેની કારકિર્દીના શરુઆતના વર્ષોમાં નતાશા સાથેના તેના સંબંધોની ચર્ચા થવા ન દેતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે આ વાત છુપાવતો નથી. વરુણ ધવને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે નતાશા સાથેના તેના સંબંધો 2021માં નવા સ્તર પહોંચી શકે છે. એટલે કે બંને લગ્ન કરી લેશે.