ગાઝિયાબાદ-

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલનના પહેલા દિવસથી ગાઝીપુર બૉર્ડર પર હાજર છે. ટિકૈત લગભગ 10 મહિનાથી બૉર્ડર પર રહી રહ્યા છે. આખા દેશમાં ફરી રહેલા રાકેશ ટિકૈત ખેડૂત આંદોલન શરૂ થયા બાદ પોતાના ગૃહ જિલ્લા મુઝફ્ફરનગરની સીમામાં ગયા નથી. તેમણે બિલ પાછું નહીં લેવામાં આવે ત્યાં સુધી ઘરે પાછા નહીં જઇએ તેવું પ્રણ લીધું છે. મુઝફ્ફરનગર શહેરમાં રહેનારા લોકો જે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાં નથી તેમણે પણ દેશભરથી મહાપંચાયતમાં સામેલ થવા માટે આવી રહેલા લોકો માટે પોતાના ઘરોના દરવાજા ખોલી દીધા. મુઝફ્ફરનગરના લારી અને રિક્ષાવાળાઓએ પણ મહાપંચાયતમાં આવનારા ખેડૂતોની સેવા કરી. ટિકૈતે કહ્યું કે, કાલે મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મોટી જીત થઈ છે. મહાપંચાયતમાં લગભગ 20 લાખ લોકો સામેલ થયા હતા. એટલે કે દેશના 20 લાખ પરિવાર પંચાયતથી જોડાયા. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સંયુક્ત મોરચાની મહાપંચાયત સફળ થઈ છે. મહાપંચાયતનું સમાપન કરીને હવે અમે ગાઝીપુર બૉર્ડર પાછા આવી ગયા છીએ. ખેડૂત આંદોલનને લઇને આગળની શું કોઈ રણનીતિ છે તેને લઇને સંયુક્ત કિસાન મોરચો જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે. આવનારા સમયમાં દેશભરમાં ક્યાં-ક્યાં કિસાન મોરચાની મહાપંચાયત થશે તેને લઇને પણ જલદી જાણકારી આપવામાં આવશે.