ગાંધીનગર-

રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રીના હસ્તે ધ્વજ વંદન સાથે કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ જૂનાગઢના પ્રવાસે જશે. જેમાં તા.૧૪ અને તા.૧૫ ઓગષ્ટના રોજ જૂનાગઢ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહેશે.

જેના અંતર્ગત તા.૧૪મી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમા પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓને તેઓ શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘તારા નામે ઓ સ્વતંત્રતા’ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમા પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. જ્યારે ૧૫મી ઓગષ્ટના રોજ સવારે ૯ કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. ત્યાર બાદ મુખ્યમંત્રી રૂપાણી ૭૫માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંબોધન કરી શુભકામના પાઠવશે. આ અવસરે ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યક્રમ યોજાશે.