મુંબઇ

મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. ગુરુવારે અહીં 25,833 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના મહામારીની શરૂઆત પછીનો અત્યારસુધીનો આ સૌથી મોટો આંક છે. એક જ દિવસમાં આટલા દર્દી કોઈપણ રાજ્યમાં મળ્યા નથી. અગાઉ, 11 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં 24,886 કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા. મુંબઈના મોલમાં એન્ટ્રી લેતા પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે અથવા ગેટ પર જ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાશે. આ અંગેની વ્યવસ્થા માટે BMC એ તમામ મોલને 22 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 39,643 કેસ નોંધાયા, 20,338 દર્દી સાજા થયા અને 155 લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં એટલે કે દર્દીઓની સારવાર ચાલુ છે એવા દર્દીઓની સંખ્યામાં 19,141નો વધારો થયો છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 1 કરોડ 15 લાખ 17 હજાર 945 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 કરોડ 10 લાખ 81 હજાર 508 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 59 હજાર 405 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યું છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યારસુધીમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેનના 400 કેસ નોંધાયા છે. એમાંથી 158 છેલ્લાં 2 અઠવાડિયાંમાં સામે આવ્યા છે.

20 માર્ચથી મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રથી આવતી-જતી પેસેન્જર બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે ખાનગી વાહનોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોનાની સમીક્ષા બેઠકમાં આ બાબતે જાણકારી આપી હતી.