ગાંધીનગર-

વિધાનસભા ગૃહમાં આજે રાજયપાલના સંબોધન ઉપરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે મુખ્યમંત્રી કાર્યાલય ઉપર સીધા આક્ષેપ કરતાં ગૃહમાં અશાંતિ છવાઈ હતી. રાજકોટની આર કે યુનિવર્સિટીને સરકારે ફાળવેલી જમીન મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે રાજકીય આક્ષેપ સાથે કરેલા નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે, રાજય સરકાર ભ્રષ્ટાચારની વાતો કરે છે પરંતુ સરકાર પોતે જ ભ્રષ્ટાચાર આચરે છે. વંશે આક્ષેપ કર્યો હતો અને ગૃહમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આર કે યુનિવર્સિટીને સરકાર દ્વારા જે જમીન ફાળવણી કરવામાં આવી હતી. તે જમીન સરકારના નીતિ નિયમો વિરુદ્ધ છે. એટલું જ નહીં આ યુનિવર્સિટી માટે સીએમઓ (મુખ્યમંત્રી કાર્યાલય)માંથી કામગીરી કરવામાં આવી હતી, સાથે-સાથે કેબિનેટ મંત્રીઓએ પણ બંધારણના નિયમોને બાજુમાં રાખીને ફાઈલો પાસ કરી રહ્યા હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો અને ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે, આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતની કોઈ વાત હતી જ નહીં. તેવો તર્ક ઉપસ્થિત કરતાં ગૃહમાં હોબાળો મચ્યો હતો.

સમગ્ર મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત કરેલા વંશના આક્ષેપનો ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય પાસે માહિતીનો અભાવ છે. ખરેખર તો સરકારે આઇસીઆરના નિયમો મુજબની જાેગવાઈઓનું પાલન કર્યું છે. એટલું જ નહીં, સરકારને પોતાની જવાબદારીનું સંપૂર્ણ ભાન છે જ. માટે અમને તમારી શીખામણની કોઈ જરૂર નથી. અમારી સરકાર નિયમ વિરુદ્ધ કોઈ ર્નિણય કરતી નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી. આ તબક્કે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પણ પુંજાભાઈના આક્ષેપોનો રદિયો આપતા ગૃહને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે ખાનગી કૃષિ યુનિવર્સિટીને ૧ ઇંચ જમીન આપી નથી.

ખાનગી યુનિવર્સિટીમાં રેવન્યુ વિભાગ સાથે પરામર્શ કરી શરતોને આધિન ઉપયોગ કરવાની પરવાનગી આપી હોવાની સ્પષ્ટતા કરી હતી. વંશે રાજ્ય સરકારના બંને કેબિનેટ મંત્રીઓની સ્પષ્ટતા બાદ પોતાની પાસે દસ્તાવેજાે ઉપલબ્ધ હોવાની વિગતો ગૃહમાં વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ભૂલ કરે તો તેનું ધ્યાન દોરવું એ અમારી વિપક્ષ તરીકેની ફરજ છે અને રાજ્ય સરકારે જે ૧૦૦ ચોરસવારનો પ્લોટ આપ્યો છે તેમાં નિયમો નેવે મૂક્યા છે તે રેકર્ડ આધારિત સાબિત થયું હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.