નડિયાદ : હાલમાં ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદના કારણે તા.૩૦ ઓગસ્ટના રોજ કડાણા ડેમના જળાશય તેમજ વણાકબોરી ડેમના જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે અંબાવ-ગળતેશ્વર રોડ ઉપર આવેલો ગળતેશ્વર મંદિર નજીકના મહિસાગર નદી લો લેવલ બ્રિજને નુકશાન થયું હતું, જેથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવો હિતાવહ નથી. ખેડા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી અંબાવ - ગળતેશ્વર રોડ તા.૮થી તા.૧૭ સપ્ટે. સુધી વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગ તરીકે અંબાવ-ગળતેશ્વર રોડથી ડેસર તરફ જતો વાહન વ્યવહાર અંબાવથી સેવાલિયાથી ઉદલપુર ચોકડી થઇ વાલાવાવ ચોકડીથી ડેસર તરફ જઇ શકશે. ડેસરથી અંબાવ તરફ જતો વાહન વ્યવવહાર ડેસરથી વાલાવાવ ચોકડી થઇ ઉદલપુર ચોકડીથી સેવાલિયા થઇ અંબાવ તરફ આગળ જશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ શિક્ષાને પાત્ર ઠરશે.