આણંદ : અમૂલ દ્વારા કેમલ ફ્રેશ મિલ્ક, લોન્ગ લાઇફ મિલ્ક અને ચોકલેટની સફળ રજૂઆત પછી કેમલ મિલ્ક પાવડર અને મિલ્ક આઇસ્ક્રીમ સ્વરૂપે નવાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો લોન્ચ કર્યાં છે. કેમલ મિલ્ક તેનાં અનેક આરોગ્યલક્ષી ગુણો માટે જાણીતું છે. તેમાં ભરપૂર ખનિજાે આવેલાં છે, જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિવિધ સંસ્કૃતિઓમાં હજારો વર્ષોથી વપરાતાં આ દૂધ અંગે આયુર્વેદના પુસ્તકોમાં પણ તેનાં ઘણાં લાભ દર્શાવવામાં આવ્યા છે. 

કેમલ મિલ્ક ઇન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે લોહીમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે, જે ડાયાબિટીસના મેનેજમેન્ટ ઉપરાંત તેને રોકવામાં પણ સહાયક બને છે. જેમ વ્યક્તિઓમાં જાગૃતિ વધતી જાય છે, તેમ કેમલ મિલ્ક પ્રોડ્‌ક્ટની માગ પણ વધતી જાય છે. વધતી માગ, બજારમાં તેનો મર્યાદિત પૂરવઠો અને હાલમાં સક્રિય કંપનીઓ દ્વારા ઊંચા ભાવને કારણે અમૂલને આ બજારમાં પ્રવેશવામાં ઘણી તકો દેખાઈ રહી છે. અમૂલ મિલ્ક પાવડરના ૨૫ ગ્રામના પેકની કિંમત રૂ.૩૫ રાખવામાં આવી છે (દર ૧૦૦ ગ્રામ દીઠ રૂ.૧૪૦), જે હાલ બજારમાં ઉપલબ્ધ સમાન પ્રકારની પ્રોડક્ટસની તુલનામાં ચોથા ભાગ જેટલી છે. અમૂલ કેમલ મિલ્ક પાવડરથી દેશના લાખો લોકો સૌ પ્રથમ વખત કેમલ મિલ્કના ગુણો અંગે જાગૃતિ મેળવશે. અમૂલ કેમલ મિલ્ક પાવડર ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલાં ઊંટડીના દૂધમાંથી બનાવવામાં આવે છે. આ દૂધનું અમૂલના આધુનિક મિલ્ક પ્લાન્ટમાં પાવડરમાં રૂપાંતર થાય તે પહેલાં તેને આકરી ચકાસણીમાંથી પસાર થવું પડે છે. એ બાબત નોંધનીય છે કે, અમૂલે પાવડરમાં કોઈપણ પ્રકારની ખાંડ અથવા તો પ્રિઝર્વેટીવ્ઝ ઉમેર્યા વગર શક્ય તેટલાં કુદરતી સ્વરૂપે જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ દૂધ પાવડર ઉત્પાદનની તારીખથી ૮ માસ જેટલી શેલ્ફલાઇફ ધરાવે છે. આ પ્રોડક્ટ કચ્છના દૂધ ઉત્પાદકો માટે આશીર્વાદરૂપ બનશે, કારણ કે અમૂલના દેશવ્યાપી વિતરણ નેટવર્કને કારણે દૂધની શેલ્ફલાઇફ અને ઉપલબ્ધિમાં વધારો થશે. આ પ્રોડક્ટને દેશના અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર પણ રજૂ કરવામાં આવી છે. અમૂલનો નવો કેમલ મિલ્ક આઇસ્ક્રીમ ૧૦૦ ટકા કેમલ મિલ્કમાંથી બનાવવામાં આવેલ છે અને તે આરોગ્ય અંગે સભાન ગ્રાહકો માટે સારો છે, કારણ કે તે ફેટનું ઓછું પ્રમાણ (માત્ર ૪.૪ ટકા) ધરાવે છે. કોઈ ફ્લેવર કે કલરનો ઉમેરો કરવામાં આવતો નથી. અને આઈસ્ક્રીમ સ્વરૂપે ગ્રાહકોને કેમલ મિલ્કનો અધિકૃત સ્વાદ પ્રાપ્ત થાય છે. આ પ્રોડક્ટ જમ્બો કપ (૧૨૫ એમએલ)માં રૂ.૩૦ની એમઆરપીથી ઉપલબ્ધ કરાઈ છે. આ પ્રોડક્ટ અમૂલના દેશ વ્યાપી આઇસ્ક્રીમ અને ફ્રોઝન પ્રોડક્ટના મજબૂત વિતરણ નેટવર્ક મારફતે ઉપલબ્ધ થશે.

ઊંટનો ઉછેર કરનાર આશરે ૧૦૦૦ પરિવારોને રોજગારી મળશે!

ગુજરાતમાં આશરે ૩૦,૦૦૦ ઊંટ છે, જે મોટેભાગે કચ્છી અને ખારી ઓલાદોના છે. ઊંટ ઉછેરનાર વર્ગમાં મુખ્યત્વે રબારી, ફકીરાણી જાત, સામા, સોઢા સમુદાયનો સમાવેશ થાય છે. ઊંટનો ઉછેર કરનાર આશરે ૧૦૦૦ પરિવારો છે. ઊંટની બંને ઓલાદોનું અસ્તિત્વ જાેખમમાં હતું. ઊંટ ઉછેરનાર લોકોની આજીવિકા મજબૂત બનાવવા માટે તથા ઊંટની ઓલાદો જાળવવા માટે ગુજરાત સરકારે, કચ્છ ખાતે કેમલ મિલ્ક ડેરી સ્થાપવામાં સહયોગ આપ્યો છે. કેમલ મિલ્ક ડેરીની સ્થાપના થવાથી ઊંટની ઓલાદોને પ્રોત્સાહન મળશે અને ઊંટનો ઉછેર કરનાર લોકોની આવકમાં વધારો થશે. આ ઉપરાંત ઊંટની સંખ્યામાં પણ વધારો થશે.

કચ્છ સંઘ હાલમાં દર મહિને ૫૦,૦૦૦ લિટર કરતાં વધુ દૂધ એકત્ર કરે છે

જિલ્લામાં કચ્છ સંઘ, દૂધ ગ્રામ દૂધ સહકારી મંડળીઓનું વ્યાપક નેટવર્ક ધરાવે છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, કચ્છ સંઘ, સહજીવન ટ્રસ્ટ અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન (દ્ભેંેંસ્જી) વચ્ચે દૂધના એકત્રીકરણ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ માટે એપ્રિલ, ૨૦૧૮માં સમજૂતિના કરાર કરવામાં આવ્યા હતા. કચ્છ સંઘ હાલમાં દર મહિને ૫૦,૦૦૦ લિટર કરતાં વધુ દૂધ એકત્ર કરે છે.

આ ચાર સંસ્થાઓએ ભેગાં મળી પ્રોજેક્ટ પાર પાડ્યો!

કચ્છમાં કેમલ મિલ્ક ડેરીની સ્થાપના માટે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, સરહદ ડેરી, સહજીવન ઓર્ગેનાઇઝેશન અને કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન (કચ્છ ઉછેરક માલધારી સંગઠન- દ્ભેંેંસ્જી)નો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો છે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન ટ્રસ્ટ તરફથી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને સ્વદેશી ઓલાદના કેટલાંક ઊંટ ઉછેરતી વિચરતી જાતિઓને સહયોગ આપવા માટે અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત આ ઓલાદોમાં પ્રસિદ્ધ બન્ની ભેંસ અને ખારી કેમલનો પણ સમાવેશ થાય છે.