નવી દિલ્હી

દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાનું વાચન પાળતા ભારતીય ઝડપી બોલર ટી નટરાજનને ગુરૂવારે થાર એસયુવી ભેટમાં આપી હતી. ભારતીય ક્રિકેટરે શો-રૂમમાંથી આ એસયુવી મેળવી હતી અને આ શાનદાર ગિફ્ટ માટે તેમનો આભાર માન્યો હતો.

ભારતે વિરાટ કોહલી, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ સિરીઝ જીતી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દ્વારા કારકિર્દીનો પ્રારંભ કરનારા નટરાજને આ ઐતિહાસક શ્રેણી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ નટરાજન સહિત છ ભારતીય ક્રિકેટર્સને એસયુવી આપવાનું પ્રોમિસ કર્યું હતું.


નટરાજન એસયુવી મળ્યા બાદ આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હતો અને તેની ગાબા ટેસ્ટની સર્જી પર સાઈન કરીને રિટર્ન ગિફ્ટ આપી છે. નટરાજને પોતાના ટ્વિટર પેજ પર કાર સાથેની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ભારત માટે ક્રિકેટ રમવું તે મારા જીવનની સૌથી મોટા ગર્વની વાત છે. મારી ક્રિકેટ જર્ની અસામાન્ય રસ્તા પરથી પસાર થઈ છે. આ દરમિયાન મને મળેલા પ્રેમથી હું ઘણો જ ભાવુક થયો છું.

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય બાદ આનંદ મહિન્દ્રાએ છ ક્રિકેટરને થાર એસયુવી ગિફ્ટ આપવાનું કહ્યું હતું. જેમાંથી પાંચ ખેલાડીઓએ તો ચાર ટેસ્ટની સિરીઝ દ્વારા જ પદાર્પણ કર્યું હતું. આનંદ મહિન્દ્રાએ શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, નવદીપ સૈની, નટરાજન અને વોશિંગ્ટન સુંદરને ગિફ્ટ આપવાનું પ્રોમિસ કર્યું હતું.