ચંદિગઢ-

શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલની ગાડી પર જલાલાબાદમાં હુમલો થયો છે. અકાલી અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને ફાયરિંગના સમાચાર મળી રહ્યાં છે. આ ઘટનામાં ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. આ ઘર્ષણની ઘટના નગર કાઉન્સિલની ચૂંટણી માટે ઉમેદવારી દરમિયાન થઇ છે. સાથોસાથ ઉપદ્રવીઓ તરફથી અકાલી દળના કાર્યકર્તાઓ પર ફાયરિંગ કર્યું હોવાના પણ અહેવાલ છે. આ ઘટનામાં સુખબીર સિંહ બાદલ સુરક્ષિત છે.

નગર કાઉન્સિલ ચૂંટણીને લઇને જલાલાબાદમાં શિરોમણિ અકાલી દળના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યાં હતાં. આ દરમિયાન સુખબીર સિંહ બાદલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. કહેવાઇ રહ્યું છે કે, અકાલી અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને કેટલાક લોકોએ સુખબીર સિંહની ગાડી પર હુમલો કર્યો હતો. હાલ પોલીસે સ્થિતિ કાબૂમાં લઇ સુરક્ષા વધારી દીધી છે.

ઘર્ષણ દરમિયાન કેટલાક લોકોએ સુખબીર સિંહ બાદલની ગાડીમાં તોડફોડ કરી અને ફાયરિંગ કરાયાના પણ સમાચાર મળી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, આ દરમિાયન ભાગદોડ મચી ગઇ હતી. લોકો બેરિકેડિંગ તોડીને કોર્ટ પરિસરમાં ઘૂસવા લાગ્યા હતા. સાથે જ પથ્થમારો પણ થયો હતો. ઘર્ષણ દરમિયાન ફાયરિંગના સમાચાર મળી રહ્યાં છે, જ્યારે સુખબીર સિંહ બાદલની ગાડી પર પણ પથ્થમારો કરાયો હતો. હાલ પોલીસ તરફથી કોઇ માહિતી આપવામાં આવી નથી. ઉપરાંત કાલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.