વડોદરા : કોર્પોરેશનના આરોગ્ય ખાતા હસ્તકના ઢોરડબ્બા શાખાના કર્મચારીઓએ દબાણ શાખા અને પોલીસ સાથે ગત ૧૯મી તારીખે મકરપુરા, માંજલપુર અને દંતેશ્વર વિસ્તારમાં રસ્તે રઝળતા ઢોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટાફે ભારે જહેમત બાદ દંતેશ્વર વિસ્તારમાંથી ચાર ઢોર પકડીને તેને લાલબાગ ઢોરડબ્બામાં પુર્યા હતા. દરમિયાન ઢોરડબ્બા શાખામાં પુરાયેલા આ ચારેય ઢોરને છોડાવવા માટે ઢોરોના માલિક જીવતા રાણાભાઈ ભરવાડે (ભરવાડવાસ, હેવી વોટર કોલોની પાસે દંતેશ્વર) તેના રહેણાંક પુરાવાની કોપી સાથે કોર્પોરેશનમાં અરજી કરી હતી. ઢોરોના માલિકની ઓળખ છતી થતા ઢોરડબ્બા શાખાના અધિકારી ડો. વિજય પંચાલે ઉક્ત ઢોરમાલિક વિરુધ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.