રાજપીપળા,  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઈચા નિલકંઠધામ ખાતે દ્વિ દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક “વિચાર ગોષ્ઠિ” ને રાજયપાલ આચાર્ય દેવવ્રતની સાથે સંલગ્ન રાજ્યના તમામ જિલ્લાના સંયોજક, સહ-સંયોજક અને કન્વિનરોની “વિચાર ગોષ્ઠિ” નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અને ગાયોનો ઉછેર એ ભારતીય સંસ્કૃતિની વિચારધારા સાથે સુસંગત ઈશ્વરીય કાર્ય છે તેમણે ગુજરાતના ખેડૂતો આ બંને આયામો સાથે ખૂબ મોટા પ્રમાણમાં જાેડાય એવો અનુરોધ કરતા કહ્યું કે, તેનાથી સમાજને વ્યાપક લાભો થશે.  

તેમણે પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનને રાજ્યમાં જન અભિયાન બનાવવાની હિમાયત કરવાની સાથે રાજ્ય સરકારના આ બંને બાબતોને પ્રોત્સાહિત કરતા અભિગમ માટે મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારને ધન્યવાદ આપ્યા હતા.રાજ્યપાલે જણાવ્યું કે, આગામી વર્ષમાં બે લાખ ખેડૂતોને દેશી ઓલાદની ગાયો આપવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.તેની સાથે મુખ્યમંત્રીની પ્રેરિત સાત પગલાં કિસાન કલ્યાણના આયોજન હેઠળ દેશી ગાય પાલક ખેડૂતોને મહિને રૂ.૯૦૦ નો નિભાવ ખર્ચ આપવાની યોજના પણ આ અભિયાનને વેગ આપશે. આગામી વર્ષમાં ૨ લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જાેડાશે તેમ જણાવી વડાપ્રધાનના આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરકાર કટિબધ્ધ છે અને ગુજરાત સમગ્ર દેશ માટે આ દિશામાં અગ્રેસર રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.ખેડૂત કલ્યાણની તડપ, પર્યાવરણની રક્ષા, ગૌમાતા સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી એ એક ઇશ્વરીય કાર્ય છે. ઇશ્વર સમગ્ર જીવસૃષ્ટિનાં પાલક અને રક્ષક છે. પરમાત્માની વ્યવસ્થામાં સહયોગી બનતી વ્યક્તિ અને ભક્તોથીજ ઇશ્વર પ્રસન્ન થાય છે. પરમાત્મા ખુદ ન્યાયકારી છે.