નવી દિલ્હીઃ-

રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લગ્ન પ્રસંગમાં હવે ફરીથી 200 લોકોની જગ્યાએ 50 લોકોની અનુમતિ આપવામાં આવશે. આ માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ સાથે એ પણ કહ્યું કે, કોરોના પ્રભાવિત માર્કેટમાં લોકડાઉન લગાવવાની માગ પણ કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના તહેવાર પર સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થવાથી કોરોનાનો ભય વધ્યો છે. જેના કારણે કેન્દ્ર સરકાર સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોના પ્રભાવિત વિસ્તારમાં લોકડાઉનની માગ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, ગત્ત વખતે કેન્દ્ર સરકારે જે ગાઇડલાઇન જાહેર કરી હતી, જેમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકાર લોકડાઉન લગાવવા ઇચ્છે તો તે માટે કેન્દ્રની મંજૂરી લેવી પડશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે. અમે આશા કરીએ છીએ કે, બજારમાં ભીડ ઓછી જોવા મળશે, પરંતુ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન નહીં થાય તો કોરોનાનું સંક્રમણ વધવાનો ભય મોટા પ્રમાણમાં છે. ત્યાંની બજાર કેટલાક દિવસો માટે બંધ કરવા માટેની અનુમતિ આપવામાં આવે, આ માટે LG સાહેબને પત્ર મોકલવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે, તેમણે કપરી પરિસ્થિતિમાં દિલ્હીના મદદ કરી છે અને ICU બેડની ક્ષમતામાં વધારો કરવા માટે આશ્વાસન આપ્યું છે. કેજરીવાલે કોરોના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 750 ICU બેડની ક્ષમતામાં વધારો કરવા માટે આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ સમયે બધી જ સરકાર મહેનત કરી રહી છે, પરંતુ સફળતા ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી આપણે બધા એકજૂથ થઇને સહકાર નહીં આપીએ. કેજરીવાલે કહ્યું કે, કોરોનાથી બચવા માટે માસ્ક ફરજિયાત પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. કારણકે કોરોના અમીર કે ગરીબ કંઇ જ જોતો નથી.