ગાંધીનગર, ગુજરાત વિધાનસભનું વિધાનસભાનું ૨૭મી સપ્ટેમ્બરના સોમવારના રોજથી બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્યું છે. જે અંતર્ગત મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ પત્રકાર અને મીડિયાના મિત્રોને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું હતું. આજે મળેલ કામકાજ સલાહકાર સમિતિમાં કોંગ્રેસના સાથી ધારાસભ્યો સહિત આગ્રહપૂર્વક મુખ્યમંત્રીને વિનંતી કરી હતી કે, આ કપરા કાળમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતની વિવિધ વિકરાળ સમસ્યાઓની વિધાનસભા ગૃહમાં બૃહદ ચર્ચા થાય, લોકોની પીડા-વેદનાને વિપક્ષ વાચા આપી શકે અને સરકાર વિપક્ષના સૂચનોનું સકારાત્મક રીતે નિવારણ કરે તે માટે વિધાનસભાનું સત્ર એક અઠવાડિયા માટે લંબાવવું જાેઈએ. બેઠકમાં થયેલ બૃહદ ચર્ચા, વિપક્ષની માંગણી પછી પણ સરકાર સત્ર લંબાવવાની વાત સાથે સહમત ન થઈ તેનું દુઃખ છે. અપેક્ષા રાખીએ કે મુખ્યમંત્રી આ અંગે વિચારીને ગૃહમાં ધારાસભ્યોને પૂરતો સમય આપશે અને વિધાનસભાનું સત્ર પણ લંબાવશે.
સમિતિમાં એવી પણ વિનંતી કરી હતી કે, નવા મુખ્યમંત્રી, નવી કેબિનેટ, નવી કામકાજ સલાહકાર સમિતિ ગુજરાતની ગૌરવવંતી સંસદીય પ્રણાલિકાઓને પુનઃસ્થાપિત કરે. કોરોના વોરીયર્સ સહિત કોરોનાના તમામ મૃતકોને સામુહિક શ્રદ્ધાંજલિ આપવા સભાગૃહ સમક્ષ ખાસ પ્રસ્તાવ લાવવા સરકારને વિનંતી કરી હતી. સુપ્રિમ કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે અને કેન્દ્ર સરકારે પણ રૂ. ૫૦ હજારની સીમિત સહાય માટે એફીડેવીટ પણ રજૂ કરી દીધું છે ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે પીડિત, કોરોનાથી શહીદ થયેલ કોરોના વોરીયર્સ અને ત્રણ લાખ કરતાં વધુ મૃતકોના પરિવારની પીડા હળવી કરવા માટે પૂરતા પ્રમાણમાં વળતર મળે તેવી માંગણી કરી છે. કોંગ્રેસ પક્ષે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, તૌકતે વાવાઝોડું હોય કે જામનગર, દેવભૂમિ-દ્વારકા કે રાજકોટમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિ હોય, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તો સહાયથી વંચિત છે ત્યારે સરકાર સત્વરે સર્વે અને રી-સર્વે કરે. અસરગ્રસ્ત પરિવારો તથા જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં વળતર મળે તે માટે પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે અવકાશ આપવો જાેઈએ. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પણ નિશ્ચિત છે અને એજન્ડાનો હિસ્સો છે ત્યારે કોંગ્રેસ પક્ષે સરકારને વિનંતી કરી હતી કે, એક આદર્શ પરંપરાને પાળતા વિધાનસભાના અધ્યક્ષનો વિપક્ષે હંમેશા સર્વાનુમતે સ્વીકાર કર્યો છે. આજે પણ ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે જે નામ સૂચવ્યું છે તેને વિપક્ષ તરીકે અમે ટેકો આપ્યો છે.
Loading ...