અંબાજી,તા.૧૭  

ગુજરાતનું સુપ્રસિદ્‌ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષે કરોડો રૂપિયાની આવક દાન દક્ષિણામાં ભેટ પેટે આવે છે. જેની સામે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરે છે.આ ખર્ચ માત્ર મંદિરના વિકાસમાં જ નહીં પણ અંબાજી આવતા યાત્રિકોની સુખ સુવિધા માટે કરાય છે. તદ્‌ઉપરાંત અંબાજી મંદિર ટ્રસ્ટ શહેરના વિકાસ માટે પણ પોતાનો ફાળો આપે છે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી અને દાંતા તાલુકા સહીતના આદિવાસી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પણ પૂરું પાડે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આવા વિદ્યાર્થીઓ માટે આર્ટસ,કોમર્સ સહીત બીસીએ કોલેજ,ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સ સ્કૂલ અને પંડિત બનવા માંગતા બ્રાહ્મણના દીકરાઓ માટે આચાર્ય સુધીનું શિક્ષણ મળી રહે તે માટે સંસ્કૃત વિદ્યાલય પણ પોતાના ખર્ચે ચલાવે છે. જયારે અંબાજી શહેરના રોડ રસ્તા વીજ બીલો તેમજ પંચાયત સંચાલીત માધ્યમિક શાળાના મકાન માટે પણ મંદિર ટ્રસ્ટ કરોડો રૂપિયાની સહાય કરી છે.અંબાજી મંદિરમાં વર્ષે લાખો શ્રદ્‌ધાળુઓ આવતા હોય છે.તેમના દ્વારા કરાતી દાન દક્ષિણાની આવકમાંથી આ બધી સુવિધાઓ પુરી પાડે છે. જિલ્લામાં કે રાજ્યમાં કોઈ મોટી હોનારતો દરમિયાન પણ મંદિર ટ્રસ્ટ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના રાહત ફંડમાં પણ પોતાનું યોગદાન આપતું રહ્યું છે. ગતવર્ષ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વાર્ષિક આવક રૂપિયા ૫૧ કરોડ થઇ હતી. તેની સામે ટ્રસ્ટે ૪૩ કરોડનો ખર્ચ વિવિધ પ્રવૃતિઓ પાછળ કરીને યથાશક્તિ દાન દક્ષિણાનો સદઉપયોગ થતો હોવાનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.જોકે અંબાજી મંદિર ટ્રસ્ટને હમણાં સુધીમાં ૧૮૦ કિલો સોનુ દાનમાં મળ્યું છે. જેમાંથી ૯૬.૩૦૦ કિલો સોનુ મંદિર ટ્રસ્ટએ ભારત સરકાર ની ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ માં મૂકેલ છે અને ૮૪ કિલો જેટલું સોનુ મંદિર ટ્રસ્ટના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે.જયારે ચાંદી ૬૬૦૦ કિલો મંદિર પાસે જમા છે. મંદિર ટ્રસ્ટની બચતમાં બૅન્કોમાં રૂ.૯૫.૮૫ કરોડની થાપણો જમા છે.અંબાજી મંદિર ટ્રસ્ટ પાસે હમણા સુધીમાં ૧૮૦ કિલો સોનુ છે જેમાંથી ૯૬.૩૦૦ કિલો સોનુ મંદિર ટ્રસ્ટએ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં અને ૮૪ કિલો સોનુ મંદિર ટ્રસ્ટના સ્ટ્રોંગ રૂમમાં છે. જ્યારે ચાંદી ૬૬૦૦ કિલો મંદિર પાસે જમા છે.બૅન્કોમાં રૂ.૯૫.૮૫ કરોડની થાપણો છે.