ભરૂચ, કોવિડના મૃત્યુઆંક રોજેરોજ બે આંકમાં જાેવા મળે છે, જેની ગવાહી ભરૂચના નર્મદા નદીના દક્ષિણ છેડે બનેલ કોવિડ સ્માશનમાં સળગતી ચિતાઓ આપી રહી છે. સરકારી ચોપડે બે દિવસ અગાઉ એક પણ મોત નહિ થયું હોવાનું નોંધાયું હતું ત્યારે બીજી તરફ કોવિડ સ્મશાનમાં ૨૫ મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા હતા. તંત્ર દ્વારા મળતા જુઠા સરકારી આંકડાઓથી પ્રજા ભ્રમિત થઈ રહી હોવાનો એહસાસ કરી રહી છે. ગતરોજ એક જ દિવસમાં ૨૩ મૃતદેહોને અગ્નિદાહ આપવમાં આવ્યો હોવાનું ખુદ કોવિડ સ્માશન સંચાલક કહી રહ્યા છે. કોવિડ સ્મશાનમાં એકસાથે પાંચ-છ ચિતાઓ સળગતી હોય પોતાના સ્વજનને અગ્નિદાહ આપનારાઓમાં ભારે દુઃખ જાેવા મળે છે. મહામારીનો સિલસિલો ચાલી રહ્યો હોય કોરોના કોઈને પણ ભરખીને પોતાની હાજરી પુરાવી રહ્યો છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૯ના ભાજપના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિના પિતાને પણ કોરોના ભરખી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે હેમેન્દ્ર પ્રજાપતિ પોતે કોરોના સંક્રમિત હોય પોતાના પિતાને અગ્નિદાહ આપી શકે તેમ ન હોવાથી હેમેન્દ્ર પ્રજાપતિના બહેને પોતાના પિતાને અગ્નિદાહ આપ્યો હતો. રોજરોજ કોરોના સંક્રમણના કેસો બે થી ત્રણ આંકડાઓમાં નોંધાય છે અને કોરોનાથી મૃત્યુ પામેલ આંક પણ કોવિડ સ્મશાનમાં બે આંકમાં જ નોંધાય છે ત્યારે સરકારી ચોપડે કેમ નહી તેવો પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે. તંત્ર સાચા આંકડા કેમ છુપાવવા મથામણ કરી રહી છે જ્યારે કે વાસ્તવિકતા કઈક જુદી જ છે.

અંતિમસંસ્કાર માટે લાકડાં વપરાતાં વૃક્ષોનો લેવાતો ભોગ

કોરોનાની બીજી લહેરમાં સતત થઈ રહેલાં મૃત્યુને કારણે પર્યાવરણ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. મૃતદેહોના અંતિમસંસ્કાર માટે લાકડાંની ખપત અચાનક વધી ગઈ છે જેના કારણે કોરોના જાણે વૃક્ષોનો પણ ભોગ લઈ રહ્યો હોવાનું લાગી રહયું છે. કોરોનાએ માત્ર મનુષ્યોને જ નહિ પરંતુ જંગલોને પણ મારવાની શરૂઆત કરી છે. વાત જરાક અજીબ લાગશે પરંતુ આ વાસ્તવિકતા છે કારણે કે જે પ્રકારે રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુ થઇ રહ્યા છે તે મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને અચાનક લાકડાની ખપત વધતા જંગલો કાપવાની ફરજ પડી છે. ભરૂચ જીલ્લાની વાત કરીએ તો ભરૂચ ખાતે છેલ્લા કેટલાક દિવસથી રોજના ૨૦ થી ૨૫ મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. ભરૂચના કોવીડ સ્મશાનમાં ગેસ ફર્નેસ કે ઇલેક્ટ્રિક ફર્નેસ નથી જેથી તમામ મૃતદેહોને લાકડા ઉપર જ અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. એક મૃતદેહને બાળવા ૧૨ થી ૧૫ મણ લાકડા જાય હવે રોજના સરેરાશ ૨૫ મૃતદેહ ગણીએ તો ૩૭૫ મણ લાકડા રોજના વપરાય છે એટલે કે રોજના ૭૫૦૦ કિલો લાકડા અગ્નિ સંસ્કાર માટે વપરાય છે. છેલ્લા ૧૫ દિવસમાં ૨૪૦ જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે એટલે કે છેલ્લા ૧૫ દિવસમાં જ ૭૨ હજાર કિલો લાકડાની ખપત થઇ છે. ત્યારે હવે કોરોના જાે હજુ પણ કાબુમાં નહીં આવે તો મનુષ્યની સાથે સાથે પર્યાવરણને પણ ખુબ મોટું નુકસાન પહોચશે.