ગાંધીનગર-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. ત્યારે આજે સોમવારે TAT-2 પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તેઓએ શિક્ષણ નિયામકને આવેદનપત્ર આપીને TAT ઉમેદવારોની જલદીમાં જલદી નિમણૂક થાય તેવી પણ માગ કરી હતી. જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની પણ ચીમકી આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 47,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જ્યારે ગુજરાત રાજ્યમાં 65,000થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારની ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવતી નથી. આજે સોમવારે TAT-2 પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષકોની ભરતી કરવાની માગ કરવામાં આવી હતી. આગેવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ઉમેદવારોની ભરતી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ચોક્કસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો છેલ્લા ચાર વર્ષથી સતત રાજ્યના શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપી રહ્યા છે. તેમ છતાં કોઇ નિર્ણય ન થતાં હવે ઉમેદવારો આંદોલનનો માર્ગ અપનાવશે.