અમદાવાદ-


૨૦૨૧ માં અત્યાર સુધી ૭૨૩ નવી પરમિટ અપાઈ છે, અને ૧૦૦૩ પરમિટ રિન્યુ કરાઈ છે.


ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. અને હવે તો દારૂ પીવાની પરમિશન માંગનારાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોનાકાળમાં. કોરોનાકાળમાં દારૂની પરમિટ માટે પરમિશન માંગનારાઓની સંખ્યા વધી રહી છે. જે બતાવે છે કે ગુજરાતના દારૂના શોખીનોની સંખ્યા વધી રહી છે.

એક આંકડા મુજબ, છેલ્લા ચાર વર્ષમાં દારૂની પરમિટ લેનારાઓની સંખ્યા વધી, તેમાં પણ કોરોનાકાળમાં દારૂની પરમિટ માંગનારીઓની પણ સંખ્યા વધી છે. કોરોનાને કારણે ગુજરાતમાં પરમિટ આપવાની કામગીરી થોડો સમય માટે બંધ હતી. પરંતુ પરમિશન આપવાની કામગીરી શરૂ થયા બાદ આ વર્ષે જૂન મહિના સુધીમા ૭૨૩ લોકોએ નવી અને ૧ હજારથી વધુ પરમિટ રિન્યુ કરાવી છે.

તો બીજી તરફ, ૨૦૧૮ થી પરમિટ માંગનારાઓની સંખ્યા વધી રહી છે. ૨૦૧૮ ના વર્ષે ૩૧૦૮ નવી પરમિટ અપાઈ હતી, તો ૫૭૦૧ પરમિટ રિન્યૂ કરાઈ હતી. ૨૦૧૯ માં ૫૮૦ નવી પરમિટ અપાઈ હતી અને ૨૨૮૫ રિન્યુ કરાઈ હતી. તેના બાદ વર્ષ ૨૦૨૦ માં ૧૬૦૦ પરમિટ નવી અપાઈ હતી અને ૧૬૬૩ પરમિટ રિન્યુ કરાઈ હતી. ૨૦૨૧ માં અત્યાર સુધી ૭૨૩ નવી પરમિટ અપાઈ છે, અને ૧૦૦૩ પરમિટ રિન્યુ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના નિયમ અનુસાર, નશાબંધી વિભાગ દ્વારા તબીબી અભિપ્રાયના આધારે જરૂરિયાતમંદ કથિત દર્દીઓને દારૂ માટે હેલ્થ પરમીટ આપવામાં આવતી હોય છે. જે અરજદારોની નોંધણી નશાબંધી વિભાગમાં કરવામાં આવે છે. જેના પરવાનેદાર લોકો નિયત થયેલાં યુનિટ સરકાર માન્ય લીકર શોપ પરથી મેળવતાં હોય છે. લોકો સ્વાસ્થ્યનું કારણ ધરીને દારૂની પરમિટ માંગતા હોય છે.