અંબાજી,તા. ૩૦  

ગુજરાતના વન વિભાગની કામગીરીનું મોડેલ મહારાષ્ટ્ર રાજ્યમાં અમલી બનાવાશે તેમ બનાસકાંઠા જિલ્લાના જેસોર રીંછ અભ્યારણ્યની બે દિવસની મુલાકાતે આવેલા મહારાષ્ટ્ર સરકારના સલાહકાર ર્ડા. અફરોજ અહમદે જણાવ્યું હતું. તેમણે જેસોર રીંછ અભ્યારણ્યની મુલાકાત દરમ્યાન વન્યપ્રાણીઓના સંવર્ધન માટે કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ અને આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મહારાષ્ટ્‌ર્માં આવેલ તોરણમહાલ વિસ્તારને ગુજરાતના વન વિભાગના મોડેલ આધારીત વિકસાવવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, જરૂર પડ્યે મહારાષ્ટ્ર સરકારના વન વિભાગના અધિકારીઓ ગુજરાતના અભ્યારણ્યોની મુલાકાત લઇ તેની તર્જ પર વન વિસ્તારમાં વિકાસ કામો કરાશે. તેમણે જેસોર રીંછ અભ્યારણ્યની મુલાકાત દરમ્યાન હરણ સંવર્ધન કેન્દ્ર અને જંગલી કુકડાઓના સંવર્ધન કેન્દ્રની મુલાકાત લઇ વન વિભાગના કાર્યની સરાહના કરી હતી.

જેસોર રીંછ અભ્યારણ્ય ખાતે ૨ એકર જમીનામાં તાર ફેન્સીંગ કરી ચિત્તલ (હરણ)નું બ્રિડીંગ સેન્ટર ગઇ સાલથી શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં એક વર્ષ પહેલાં સાસણ ગીરના સક્કરબાગમાંથી ૫ હરણ લાવી બ્રિડીંગ સેન્ટર શરૂ કરાયું હતું. આ હરણોએ અન્ય બીજા હરણોને જન્મ આપતાં અત્યારે બચ્ચાઓ સાથે કુલ-૯ હરણો વિહાર કરી રહ્યા છે. જેસોર રીંછ અભ્યારણ્યના ફોરેસ્ટરશ્રી જાવેદ ઘાસુરાએ જણાવ્યું કે, આ હરણોને ખોરાકમાં ઋતુ પ્રમાણે રજકો, રજકા બાજરી, મકાઇ, ખોળ વગેરે અપાય છે. આ ઉપરાંત તેમનામાં કોઇ રોગ ન આવે તે માટે વેટર્નરી ર્ડાકટરોની સલાહ પ્રમાણે પાણીમાં દવા પણ આપવામાં આવે છે. તેમને પીવા માટે આપવામાં આવતું પાણી રોજ નવું આપવામાં આવે છે.