મુંબઇ

સાઉથના ભગવાન રજનીકાંતનો આજે 70મો જન્મદિવસ છે. ફોરએવર યંગ રજનીકાંતનું ન માત્ર રીલ લાઈફ પરંતુ રીયલ લાઈફ પણ એટલી જ ઈન્ટ્રેસ્ટિંગ છે. 12 ડિસેમ્બર 1950ના દિવસે બેંગલુરૂના મરાઠી પરિવારમાં જન્મેલા રજનીકાંત સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર છે. મૂળ મરાઠી પરંતુ દક્ષિણ ભારતીય સિનેમાને અપનાવી લેનાર રજનીકાંતના જીવનની કેટલીક અજાણી વાતો અને તમને જણાવીશું. 

કુલી તરીકે કર્યું કામ

રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. તેમના પિતાનું નામ રામોજી રાવ ગાયકવાડ હતું. તેઓ હવાલદાર હતા. ચાર ભાઈ-બહેનમાં રજનીકાંત સૌથી નાના હતા. જ્યારે તેઓ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થઈ ગયું અને આખો પરિવાર તૂટી ગયો. રજનીકાંતે ઘરની ખસ્તા હાલત જોઈ અને મદદ કરવા માટે કુલીનું કામ કરવાનું શરૂ કર્યું. જેના કેટલાક સમય બાદ તેમને બેંગલુરૂ પરિવહન સેવામાં બસ કંડક્ટરની નોકરી મળી ગઈ.

મિત્રના કારણે મળી ફિલ્મ

રજનીકાંત અભિનેત્રા બનવા માંગતા હતા. તેમના આ જ સપનાને મિત્ર રાજ બહાદુરે જીવતું રાખ્યું અને રજનીકાંતને મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન લેવાનું કહ્યું. મિત્રના કારણે જ રજનીકાંત આગળ વધતા ગયા અને ફિલ્મોમાં કામ કરવા લાગ્યા. રજનીકાંતે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ અપૂર્વા રાગનગાલથી કરી હતી. રજનીકાંતે પોતાના કરિયરના શરૂઆતના સમયમાં અનેક નેગેટિવ ભૂમિકા નિભાવી હતી.

રજનીકાંતની જાણીતી ફિલ્મો

બિલ્લા (1980), થલપતિ(1991), અન્નામલાઈ (1992), ચંદ્રમુખી (2005), બાશા(1995), રાના(2012), મુથૂ(1995), અરુણાચલમ (1997), બાબા (2002), શિવાજી ધ બોસ (2007), રોબોટ (2010), લિંગા (2014), કોચાદાઈયા, કબાલી વગેરે ફિલ્મો રજનીકાંતની પોપ્યુલર ફિલ્મો છે.

રજનીકાંતે બોલિવુડમાં પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તેમની પહેલી ફિલ્મ અંધા કાનૂન હતી. આ ફિલ્મમાં રજનીકાંત સાથે હેમા માલિની અને મહાનાયક અમિતાભ બચ્ચન હતા. રજનીકાંતે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ઓપન કર્યું, તો 24 કલાકમાં 2,10,000 ફોલોઅર્સ થઈ ગયા હતા.

આટલી સિદ્ધિઓ મેળવી રજનીકાંતે 

ભારત સરકારે રજનીકાંતને વર્ષ 2000માં પદ્મભૂષણથી નવાજ્યા હતા. FORBES ઈન્ડિયાએ 2010માં રજનીકાંતને ભારતના સૌથી પ્રભાવશાળી અને પ્રસિદ્ધ શખ્સિયતના લિસ્ટમાં સામેલ કર્યા હતા. રજનીકાંતે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ 1984ના વર્ષમાં 'નલ્લવમુકૂ નલ્લવં' ફિલ્મ માટે બેસ્ટ તમિલ એક્ટર માટે મેળવ્યો હતો. રજનીકાંતને તમિલનાડુ સરકાર તરફથી 1984માં કલાઈમમણિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકારણમાં મારશે એન્ટ્રી

ઉંમરના સાતમાં દાયકાના પડાવ પર રજનીકાંતનો ઉત્સાહ ઓછો નથી થયો. તેઓ હવે રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ રજનીકાંતે જાહેરાત કરી હતી કે, તેઓ રાજકારણમાં કદમ રાખી રહ્યા છે. વર્ષના અંતમાં તેઓ આ મામલે વધુ વિગતો આપશે. રજનીકાંતની ફેન ફોલોઈંગને જોતા તેઓ રાજકરણમાં પણ સફળતા મેળવશે તેવી સૌને આશા છે.