વડોદરા-

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન થયું છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસ થી સારવાર હેઠળ હતા. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હરિપ્રસાદ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનથી હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ છે. સ્વઃ હરિપ્રસાદ સ્વામીની વાત કરવામાં આવે તો તેમનો જન્મ વડોદરા નજીકના સાવલી તાલુકાના આસોજ ગામે રહેતા ગોપાલદાસ અને કાશીબાના ઘરે 23 મે 1934ના રોજ “પ્રભુદાસ” નો જન્મ થયો હતો. માતા કાશીબા અને પિતા ગોપાલદાસ પહેલાથી જ ધર્મ અને ભક્તિમાં માનનારા હતા. 1965માં વિજ્યા દશમીના દિવસે “પ્રભુદાસ” ને યોગીબાપા દ્વારા સાધુ હરિપ્રસાદ નામ આપવામાં આવ્યું હતુ.

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી હરિધામ શોકમાં સરી પડ્યું છે. સોમવારે મોડી 88 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી.તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડૉક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો.

સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા છે.યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.