ગાંધીનગર,

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, ભરૂચ, કચ્છ અને સુરતમાં ભારે વરસાદ પડશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારે વસતાં લોકોને સતર્ક કરી દેવામાં આવ્યાં છે.

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આગામી 3 દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે.

સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયુ હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં સિઝનનો અડધો કે તેનાથી વધારે વરસાદ એકસાથે પડી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એકસાથે સક્રિય થતાં હવામાનવિભાગ તરફથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 25 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 51 ટકા, સૌરાષ્ટ્રમાં 49 ટકા, દક્ષિણ ગુજરાતમાં 17 ટકા, મધ્ય ગુજરાતમાં 16 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 14 ટકા વરસાદ ખાબક્યો છે