અમદાવાદ-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષનેતા મુદ્દે કકળાટ યથાવત છે હજી માનપામાં તો વિપક્ષના નેતા જ નક્કી નથી. આગામી 5 ઓગસ્ટના રોજ યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો ક્રોસ વોટિંગ કરે તેવી પુરી શકયતા તો છે. જેનું મુખ્ય કારણ વિપક્ષ પદના નેતા નક્કી કરવામાં આવ્યા નથી. વિપક્ષ નેતા પદને લઇ કોંગ્રેસના જ બે જૂથ આમને સામને આવી ગયા છે. એક જૂથના 15 કાઉન્સિલરોએ પોતાની સહી સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રજૂઆત કરી છે કે યુવા કાઉન્સિલરને વિપક્ષ નેતા તરીકે બેસાડવામાં આવશે તો અમે રાજીનામાં આપી દઈશું.

સુત્રોનું માનીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ પદ માટે હવે આંતરીક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી કોર્પોરેશનની સ્કૂલબોર્ડની ચૂંટણીમાં તેનો પડઘો પડી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોની જેમ હવે કોંગ્રેસના કાઉન્સિલરો પણ આગામી દિવસોમાં રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના અમદાવાદના 15 કાઉન્સિલરો દ્વારા પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે કે કોંગ્રેસના યુવા કાઉન્સિરને વિપક્ષ નેતાનું પદ આપવામા આવે નહી. 24 કાઉન્સિલરમાંથી 23માંથી કોઈપણ કાઉન્સિલર બનશે તો વાંધો નહિ પરંતુ તેમને વિપક્ષના નેતા ન બનાવવા રજુઆત કરાઇ છે. જોકે 2 જૂથ છે જેમાં એક શહેઝાદ ખાન પઠાણ અને ઇકબાલ શેખના જૂથ છે. બંને એક બીજા સામે આક્ષેપો કરી અને વિપક્ષનેતા અમારો યુવા નેતા બનાવો જોઈએ તે માટે માંગણી પાર્ટી સામે કરી રહયા છે. જેના કારણે હજી સુધી વિપક્ષ નેતા મુકવામાં આવ્યા નથી

5 ઓગસ્ટના રોજ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિરણ ઓઝાને ઉભા રાખવામાં આવ્યા છે. ચૂંટણી જીતવા માટે 16 જેટલા કાઉન્સિલરોના મત જોઇએ. વિપક્ષ પદના નેતાને લઈ કેટલાક કાઉન્સિલરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ છે. જો કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો મત નહી આપે અને ક્રોસ વોટીંગ કરશે તો સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં AIMIMને ફાયદો થશે.