અમદાવાદ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી અલગ-અલગ દિવસે રાખવામાં આવી હોવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં બંને પક્ષો તરફથી રજૂઆત કરાયા બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં વર્ષ 2005થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરી બે તબક્કામાં થાય છે.

કેસની હકીકત અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતયાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેમજ અરજદારે મત ગણતરી એક જ દિવસ રાખવાની માંગણી કરી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, જો નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેના લીધે, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. જેમાં મતદારોને અસર થવાની સંભાવના છે.

ચૂંટણીપંચ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, જો એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહું મોટો સ્ટાફ રાખવો પડે, અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. આ ઉપરાંત, સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. જો કે, કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો છે.