રાજપીપળા, તા.૬

 કાૅંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી ૬ તારીખે ભારત જાેડો યાત્રા લઈ ગુજરાતમાં આવી રહ્યા છે. આગામી ૯ તારીખે રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવી રહ્યા હોવાથી કાર્યક્રમની રૂપરેખા અને રૂટ ચેકિંગ માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ રાજપીપળા આવી પહોંચ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓએ રાહુલ ગાંધીના રૂટનું ચેકિંગ કર્યું હતું.

દરમિયાન કોંગ્રેસ ભાંગી રહી હોવાના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિથી કોંગ્રેસ પાર્ટી ચાલતી નથી. ભાજપ દેશના સંવિધાનના મૂલ્યો તોડી કોંગ્રેસને તોડે છે. ભાજપ અનૈતિક રીતે પોતાની વિચારધારા ફેલાવે છે. ભાજપ તાનાશાહ રીતે કામ કરે છે. જ્યારે અર્જુન મોઢવાડિયાનું નામ લીધાં વગર શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જે ભાજપના નેતાઓને અમારા નેતા રંગા બિલ્લા કહેતા હતા, ભાજપ પ્રદેશ પ્રમુખને ગુનેગાર ગણાવતા હતા એમના જ ખોળામાં ભાજપ બેસી ગયું છે. ભાજપ એક બાજુ ડરનો દંડો બતાવે છે તો બીજી બાજુ લાલચ આપી અમારા નેતાઓને તોડે છે. આંગળીના વેઢે ગણાય એટલાં કોંગ્રેસીઓ જાય છે એનાંથી અમને કોઈ ફરક નહિ પડે. ભારત તો કોંગ્રેસ મુક્ત નહિ થાય, પણ આખું ભાજપ કોંગ્રેસ યુકત થઈ રહ્યું છે. ભાજપને કામના નામે મત નથી મળવાના એમણે તો કારનામા કર્યા છે એટલે કોંગ્રેસના લોકોને લેવા પડે છે. અમારા નેતાઓ ભાજપ માટે કાલ સુધી ખરાબ હતા હવે દૂધે ધોયેલા થઈ ગયા.