દિલ્હી-

અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદથી ભારતીયોને ત્યાંથી નિકાળવાના તમામ સંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત ભારતીય એરફોર્સના C-130J પરિવહન જહાજે કાબુલથી 85 જેટલા ભારતીયો સાથે ઉડાન ભરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જહાજ ઈંધણ ભરાવવા માટે તાજિકિસ્તાનમાં ઉતર્યું હતું. ભારત સરકારના અધિકારીઓ ભારતીય નાગરિકોને ત્યાંથી નિકાળવા માટે મદદ કરી રહ્યા છે. આ અગાઉ 17 ઓગસ્ટના રોજ ભારતીય વાયુ સેનાના સૈન્ય પરિવહન જહાજમાં ભારતીય રાજનયિકો, સુરક્ષા કર્મચારીઓ તેમજ ત્યાં ફસાયેલા કેટલાક ભારતીયો સહિત કુલ 150 જેટલા લોકોને કાબુલથી પરત લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 16 ઓગસ્ટના રોજ કાબુલથી અન્ય એક જહાજમાં 40 કર્મચારીઓને પરત લાવવામાં આવ્યા હતા. હજુ પણ ભારતીય વાયુ સેના દ્વારા આ પ્રકારે કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે.