આણંદ, તા.૨૬ 

કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ૨૪ જુલાઈ, ૨૦૨૦ના રોજ આણંદમાં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બાૅર્ડ (એનડીડીબી) ખાતે પશુપાલકો માટે હાઈ-ટૅક હની ટેસ્ટિંગ લેબોરેટરી અને બીકીપિંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ડાૅ. સંજીવકુમાર બાલયાન, કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી, લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ (આણંદ), ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ સંજય અગ્રવાલ, એનડીડીબીના ચેરમેન દિલીપ રથ અને એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીનેશ શાહએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દિપાવ્યો હતો.

એનડીડીબી સંલગ્ન પ્રવૃત્તિઓ મારફતે ખેડૂતોની આવકને વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટીનું નિર્માણ તેની મલ્ટિ-ડિસિપ્લિનરી લેબોરેટરી સીએએલએફ ના એક હિસ્સા તરીકે કરવામાં આવ્યું છે. તે દેશની એકમાત્ર અધિકૃત લેબોરેટરી છે, જે અત્યંત જટિલ વિશ્લેષ્ણાત્મક સાધનો અને વેટ કેમિકલ એનલિસિસનો ઉપયોગ કરી પ્રમાણિકતા પરીક્ષણ હાથ ધરીને ૧ જુલાઈ, ૨૦૨૦ના રોજના એફએસએસએઆઈના તાજેતરના નિયમો મુજબ, મધના નમૂનાઓનું પરીક્ષણ કરી શકે છે.

એનએબીએલની માન્યતા પ્રાપ્ત આ લેબોરેટરી બીઆઇએસ, એગમાર્ક, કોડેક્સના માપદંડો તથા જંતુનાશકો, એન્ટિબાયોટિક્સ, ભારે ધાતુઓ અને વેટ કેમિકલ ટેસ્ટિંગને આવરી લઈ એક્સપોર્ટ ઇન્સપેક્શન કાઉન્સિલના રેસિડ્યૂ મોનિટરિંગ પ્લાન (આરએમપી)ની જરૂરિયાતો મુજબ પણ મધનું પરીક્ષણ કરી શકે છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એનડીડીબી સાથે સહયોગ સાધવા અને આણંદ ખાતે આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટીને સફળતાપૂર્વક સ્થાપવા બદલ મંત્રાલયના અધિકારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આપણે મધમાખી ઉછેરના લાભ, ખેતી અને ખેડૂતોની આવક પર તેના પ્રભાવ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. મધના ઉત્પાદન દ્વારા પેદા થતી આવક દેશના જીડીપીમાં યોગદાન આપશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે મહિલાઓને પ્રોત્સાહન આપવાની સાથે મધમાખી પાલકોની આવકનું સર્જન કરવા અને તેમનું ક્ષમતાનિર્માણ કરવા સહિત મધમાખી ઉછેર સંબંધિત આંતરમાળખાંનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર ભારત હેઠળ ભારત સરકારના રૂ. ૫૦૦ કરોડના મધમાખી ઉછેર પહેલ ફંડનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે જણાવ્યું હતું કે, મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો વિકાસ થવાથી ભારતના ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે અને તે ખેડૂતોની આવકમાં વધારો કરવાની પણ ક્ષમતા ધરાવે છે. મધમાખી ઉછેર ક્રોસ પોલિનેશન (પર-પરાગનયન) મારફતે દેશમાં કૃષિ અને બાગાયતી પાકોની ઊપજમાં વધારો કરવામાં એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. વનસ્પતિની જૈવવૈવિધ્યતા જાળવી રાખવામાં મધમાખીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, સપ્લાયરો આર્થિક લાભ મેળવવા માટે અનૈતિક વ્યવહારમાં સંકળાયેલા હોઈ આજે મધની પ્રમાણિકતા એ ખૂબ જ ગંભીર મુદ્દો બની ગયો છે. એનડીડીબી ખાતેની આ ટેસ્ટિંગ ફેસિલિટી નિયમનકારી જરૂરિયાતોને પૂરી કરી ઘરેલું વપરાશ અને નિકાસ માટે ગુણવત્તાસભર મધનું ઉત્પાદન કરવામાં મધમાખી ઉછેર કરનારા ખેડૂતો, સહકારી મંડળીઓ અને મધનું ઉત્પાદન કરનારા ઉદ્યોગોને મદદરૂપ થશે.

દિલીપ રથે જણાવ્યું હતું કે, એનડીડીબીએ એનબીબી સાથે ભેગાં મળીને દેશમાં ડેરી સહકારી મંડળીઓના નેટવર્કનો ઉપયોગ કરી ખેડૂતોમાં મધમાખીઓના વૈજ્ઞાનિક રીતે ઉછેરને પ્રોત્સાહન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અત્યાધુનિક લેબોરેટરીને કૃષિ મંત્રાલયની આર્થિક સહાય વડે સ્થાપવામાં આવી છે અને મધનું પરીક્ષણ કરવાની તમામ સુવિધાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ છે. આપણાં વડા પ્રધાને દેશમાં મધ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની અને શ્વેત ક્રાંતિની જેમ સ્વીટ રિવોલ્યુશન લાવવાની અપીલ કરી હતી.

ડેરી સહકારી મંડળીઓ ડેરી ઉદ્યોગને સમકક્ષ મધ માટે પણ મૂલ્ય શ્રૃંખલાની સ્થાપના કરી શકે છે. બનાસકાંઠા (ગુજરાત), સુંદરબન (પશ્ચિમ બંગાળ) અને મુઝફ્ફરપુર (બિહાર)ની દૂધ મંડળીઓ મધ ખરીદવા અને વેચાણ માટે તેમના આંતરમાળખાંનો ઉપયોગ કરે છે અને બનાસ, સુધા અન સુંદરિની જેવી બ્રાન્ડ્‌સ તેનાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત મધ પૂરું પાડી રહી છે. નેશનલ બી કીપિંગ એન્ડ હની મિશન એ આત્મનિર્ભર ભારતનું એક મહત્ત્વનું અંગ છે અને એનડીડીબી આ કાર્યક્રમ પ્રત્યે પ્રતિબદ્ધ છે તથા તેનું અમલીકરણ કરનારી એજન્સી તરીકે તેને નિયુક્ત કરવામાં છે.