દિલ્હી-

કર્ણાટક રાજ્ય સરકારે ગૌહત્યા વિરોધી વટહુકમને મંજૂરી આપી હતી. હવે ગૌહત્યાના કેસમાં આરોપી પુરવાર થનારને વધુમાં વધુ સાત વર્ષની જેલ અને /અથવા પાંચ લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે.

રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને બહાલી મળી હતી. આ વટહુકમ પર ગવર્નર સહી કરે એટલે એ અમલી બની જશે અને કર્ણાટકમાં ગૌહત્યા એક સજાપાત્ર ગુનો બની રહેશે આમ તો આ પ્રસ્તાવ નવમી ડિસેંબરે રાજ્ય સરકારે રજૂ કર્યો હતો પરંતુ એ પ્રસ્તાવ વિધાન પરિષદમાં અટકેલો પડ્યો હતો એટલે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડવાનો ર્નિણય લીધો હતો.

આ માસની શરૂઆતમાં યેદીયુરપ્પાની સરકારે વિધાનસભામાં કર્ણાટક પ્રિવેન્શન ઑફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઑફ કેટલ બિલ ૨૦૨૦ રજૂ કર્યું હતું. વિધાન પરિષદ બહાલી ન આપે ત્યાં સુધી આ ખરડો કાયદો બની શકે એવી કોઇ શક્યતા નહોતી. આ ખરડામાં ગાય, બળદ, વાછરડા અને ભેંસની કતલ પર પ્રતિબંધ મૂકવાની વાત હતી. હવે વટહુકમ દ્વારા કર્ણાટકમાં બીફ પર પૂર્ણ પ્રતિબંધ આવી જશે. જાે કે માંસાહારી લોકો આ વટહુકમને કોર્ટમાં પડકારે તો નવાઇ નહીં. આ વટહુકમમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી, ગાયો પર અત્યાચાર અને પશુ વધ કરનારા સામે કડક કાયદેસર પગલાં લેવાની જાેગવાઇ છે. આવા કેસ માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપવાની પણ જાેગવાઇ છે. રાજ્ય પ્રધાન મંડળની બેઠક પછી સંસદીય બાબતોના ખાતાના પ્રધાન જે સી મધુસ્વામીએ કહ્યું કે કતલખાના પહેલાંની જેમ જ ચાલુ રહેશે અને ભેંસનું માંસ ખાવા પર કોઇ પ્રતિબંધ નથી પરંતુ નવો કાયદો લાગુ પડે કે તરત ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવી જશે.