અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. નરેન્દ્ર મોદી કયા કયા પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક) 

વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ ''સ્ટેટ ઓફ આર્ટ'' ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ''જીઓડેસીક ડોમ એવીયરીઝ''નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે. જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ''પેટીંગ ઝોન'' નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.

એક્તા મોલ 

પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયમ છે. એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલ છે.

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક 

અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરે છે. જેમાં, પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ''સહિ પોષણ-દેશ રોશન'' ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલભુલૈયાં પણ છે.

યુનિટી ગ્લો ગાર્ડન

પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન છે. જે આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. ૩.૬૧ એકરમાં પથરાયેલ આ વિશાળ ગાર્ડનમાં ૨.૪૧ લાખ LED લાઈટ, ૩૧ ઝગમગતાં પ્રાણીઓ જેવા કે હરણ, અશ્વો, જિરાફ, ફ્લેમિંગો, હંસ, સસલાઓ વગેરે, ૧૨૫ ઝળહળતા ફૂલો, ૩૫ વૃક્ષો, ૫૧ ઈન્ટરેક્ટિવ લાઈટીંગ એલીમેન્ટ્સ અને ૪ ત્રિપરિમાણીય ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારનો ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ યાદગાર અનુભવ કરાવે છે.

કેકટ્સ ગાર્ડન 

સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે રપ એકરમાં પથરાયેલ ગાર્ડન છે. જેમાં ૪પ૦ પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા ૧૭ દેશોના કુલ ૬ લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં ૮૩૮ ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલ છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. જેમાં પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.

એક્તા નર્સરી 

જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર ૧૦ એકરમાં પથરાયેલ આ એકતા નર્સરી પ્રવાસીઓને અધ્વિતીય અનુભવ કરાવે છે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીની ૧૦ લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. એકતા નર્સરી ''એકતા હેન્ડીકાફ્રટ'' પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદીનું પ્રવાસીઓને ખાસ આકર્ષણ છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના ''સેલ્ફ-હેલ્પ ગૃપ'' થકી ૩૧૧ કુટુંબોને આર્થિક લાભ મળે છે.

ખલવાણી ઈકો-ટુરિઝમ 

પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ ૧૦૦ એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં ૮ર એકર વિસ્તારમાં ૧.૩ લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે ૧૦૦ જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે. જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે. અહીં કાફેટેરીયામાં સેલ્ફ-હેલ્પ ગૃપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનનો સ્વાદ મળે છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફટીંગ ઉપલબ્ધ છે. ૪.પ કિ.મી. લંબાઈ અને ૯ રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.

આરોગ્ય વન 

માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલ છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન - સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.

જેટ્ટી અને એકતા ક્રૂઝ 

પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલ છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ ૬ કિ.મી. સુધી અને ૪૦ મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવે છે. એકતા ક્રૂઝની લંબાઈ ર૬ મીટર અને પહોળાઈ ૯ મીટર છે અને ર૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલ છે.

નેવિગેશન ચેનલ 

નર્મદા નદીમાં શ્રેષ્ઠ ભારત ભવન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ફેરી બોટમાં આવાગમન કરવા માટે ૭ કિ.મી. લંબાઈમાં ૬૦ મીટર પહોળી અને ૨૫ મીટર ઊંડી નેવિગેશન ચેનલ બનાવવામાં આવેલ છે. આ ચેનલ બનાવવા માટે અંદાજે ૫ લાખ ઘન મીટર હાર્ડ રૉકનું ખોદકામ કરવામાં આવેલ છે.

ગરૂડેશ્વર વિયર

સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે નીચે વાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવેલ છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી ૧ર.૧૦ કિ.મી. નીચે વાસમાં આવે છે. ગરૂડેશ્વર વિયરની લંબાઈ ૬૦૯ મીટરનાં સ્પીલવે સાથે કુલ- ૧ર૧૮ મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ ૮૭.ર૦ મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં ૯ મે.વો. જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

નવો ગોરા બ્રીજ

ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરૂડેશ્વર વીયરના કારણે ડુબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રીજ બનાવવામાં આવેલ છે. જેમાં મુખ્ય ભાગની લંબાઈ ૯ર૦ મીટર છે અને એપ્રોચીઝની લંબાઈ ૧.૬ કિ.મી. છે. આ બ્રીજમાં વાહનોની સરળતાથી અવરજવર માટે ચાર લેન કરવામાં આવેલ છે. ગોરા બ્રીજ સરદાર સરોવર ડેમથી ૬.૩૦ કિ.મી. નીચે વાસમાં છે. આ બ્રીજ કેવડિયાથી રાજપીપળા રસ્તાને જોડે છે.

સરકારી વસાહતો

સરદાર સરોવર નર્મદા નિગમના કર્મચારી/ઈજનેરોને વસવાટ માટે કુલ-૧૧ર ફલેટ બનાવવામાં આવેલ છે જેમાં જુદી જુદી કેટેગરીનો સમાવેશ છે. આ વસાહત બનતા કર્મચારી/અધિકારીઓને કેવડિયા ખાતે રહેવા માટે સગવડતા ઉપલબ્ધ થયેલ છે.

બસ ટર્મિનસ

પ્રવાસીઓને વિવિધ સ્થળોએથી લેવા અને મુકવા માટે ૧૦ સબ-બસ સ્ટેન્ડ ધરાવતું વિશાળ ટર્મિનસ બનાવવામાં આવેલ છે. પ્રત્યેક બસ સ્ટેન્ડની જેની સાઈઝ ર૦ મીટર X ૮ મીટર છે. બસ બે સ્ટેન્ડની ક્ષમતા એક જ સમયે ૧પ૦૦ પ્રવાસીઓ માટેની છે, જે માટે ૧ર૦૦ મીટર લંબાઈની સ્ટેનલેસ સ્ટીલ રેલીંગ નાખવામાં આવી છે. અહીં પ્રવાસીઓ માટે ૬૦૦ જેટલા લોકર પણ ઉપલબ્ધ છે.

હોમ સ્ટે

હોમ સ્ટે એટલે કે કોઇકના ઘરમાં ટુંક સમય માટે ભાડેથી રોકાણ કરવા માટેની સુવિધા. શહેરમાંથી આવતા પ્રવાસીઓને આદિવાસી ગ્રામ્ય જીવનનો અનુભવ મળે અને આદિવાસી પ્રજાની રહેણીકરણી, તેમની ખાદ્ય વાનગીઓ સાથે ગામડાનું જીવન માણવાની તક મળે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેચ્યુ ઑફ યુનિટી આસપાસના વિસ્તારના ૧૧ ગામોમાં ૩૨ આદિવાસી મકાનોના ૫૪ ઓરડાઓનું આધુનિકરણ કરવામાં આવેલ છે જેમાં ટી.વી. ફ્રિજ, એરકન્ડીશનર, વોટર પ્યુરિફાયર, સોફાસેટ વગેરે સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે.

આદર્શ ગામ

૬ ગામોનાં અસરગ્રસ્ત કુટુંબોને જરૂરી તમામ સવલતો સાથે વસવાટ કરવાની 'આદર્શ ગામ' યોજના છે. 'આદર્શ ગામ' અંતર્ગત ગોરા ગામ પાસે ૪૦૦ કુટુંબોને પાકા મકાનો સાથે પ્રાથમિક નિશાળ, આંગણવાડી, દવાખાનું, પશુઓ માટે અવેડો,કોમ્યુનિટી હોલ, બાળકોને રમવા માટે ખાસ જગ્યાઓ વિગેરે સવલતો મળશે.