ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાની વધેલી ચિંતા વચ્ચે આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થનાર છે જેમાં તા.3ના રોજ નાયબ મુખ્યમંત્રી તથા નાણાવિભાગનો હવાલો સંભાળતા નિતીન પટેલ રાજયનું આગામી વર્ષનું બજેટ રજુ થશે. આજે સત્રના પ્રથમ દિવસે મુખ્યત્વે હાલમાં જ દિવંગત થયેલા રાજયના બે પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તથા સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપશે પછી મુલત્વી રહે તેવી ધારણા છે. રાજયમાં કોરોનાના કેસ વધતા હોવાથી ધારાસભ્યો માટે બેઠક વ્યવસ્થા પ્રેક્ષક ગેલેરીમાં કરવામાં આવી છે અને આ માટે 70 ધારાસભ્યો આ પ્રકારની વ્યવસ્થા હેઠળ બેસાડવામાં આવશે.

આજે વિધાનસભામાં હાલની પેટાચૂંટણીમાં ભાજપની ટિકીટ પર જીતેલા આઠ ધારાસભ્યો પ્રથમ વખત હવે શાસક પક્ષની પાટલી પર બેસશે અને સાથે ભાજપના સભ્યોની સંખ્યા 111 થઈ છે. આ સત્રમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થા માટે જે રીતે મહાપાલિકામાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. તથા આવતીકાલના પરિણામોમાં ભાજપની જીત નિશ્ર્ચિત હોવાનું માનવામાં આવે છે. તેના પડઘા પણ પડશે. કાલે પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થનાર હોવાથી બજેટ તા.3ના રોજ રજૂ કરાશે.