આણંદ,તા.૫

પૂનાથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસમાં સોમવારના રોજ સવારના અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ હાઈવે પર આણંદ નડિયાદ વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જાેકે બસ તથા મુસાફરોનો સામાન આગમાં હોમાઈ ગયો હતો. પરંતુ બસમાં સવાર ૨૫ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ધટનાની જાણ આણંદ ફાયર વિભાગને થતાં ધટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો,પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડીરાત્રે પૂના થી રાજસ્થાન તરફ જતી લકઝરી બસ નં આર.જે ૧૯પીબી ૭૧૮૨ આજે વહેલી સવારના સાડા છના સુમારે અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ હાઇવે પર આણંદ નડિયાદ માગૅ પર સામરખા ટોલનાકા નજીકથી પસાર થવા સમયે અચાનક આગ લાગતા બસના ચાલકે સમયસૂચકતા દાખવી મુસાફરોને હેમખેમ બસમાંથી ઉતારી બચાવી લીધા હતા, પરંતુ બસ તથા મુસાફરોનો સામાન આગમાં હોમાઈ ગયો હતો. હાઇવે પર બસમાં આગ લાગ્યાની જાણ આણંદ ફાયરવિભાગને કરતાં ફાયર અધિકારી ધર્મેશ ગોરના સુચન હેઠળ ફાયરફાયટરોએ ધટનાસ્થળે પહોંચી બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે આગના પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઇ હતી. આગ કાબૂમાં આવ્યા બાદ ફાયર ફાયટરોએ બસની અંદર જતાં ૫૦ હજારની રોકડ મળતાં તે મુસાફરને પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.