ગાંધીનગર-

નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુજરાતની પોતાની મુલાકાત દરમિયાન મંગળવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મેટ્રો રેલ પ્રોજેક્ટ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાણી પુરવઠા,ડિજિટલ સેવા સેતુ સહિતના ક્ષેત્ર માં વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની સઘન આરોગ્ય લક્ષી કામગીરી ને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ ની વિગતો થી માહિતગાર કર્યા હતા. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતે એફ.ડી આઇ માં જે અનન્ય સિદ્ધિ મેળવી છે તેની તુલના હવે વિશ્વના વિકસિત દેશોના પ્રદેશો સાથે થવી જોઈએ. રાજીવ કુમારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સ્થિત સી.એમ. ડેશબોર્ડથી થતી ડીજીટલ ગવર્નન્સની કામગીરી અને રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરીનું રિયલ ટાઈમ મોનીટરીંગ, રાજ્ય સરકાર દ્વારા ધોલેરા SIRને સિંગાપોરથી મોટુ સ્માર્ટ સિટી બનાવવા માટેના આયોજન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની સરાહના કરી હતી.