અમદાવાદ

રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરુ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા છે. જેમાં આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચન આપ્યું છે. આ સિવાય ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા અને સરકારના કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવાનું કહ્યું છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અને બે પાળી વચ્ચે સેનિટાઈઝ માટે એક કલાકનો બ્રેક રાખવાની ભલામણ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસના કલાકો ઘટાડવાના લઈને ગૃહકાર્ય પર ભાર આપવા માટેનું સૂચન પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. જો કે, ગાઈડલાઈન તૈયાર થાય તે પહેલા જ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને પોતાના સૂચનો લેખિતમાં મોકલ્યા છે. કે જેથી સરકારને ગાઈડલાઈન તૈયાર કરવામાં મદદ મળશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને આ અંગે પત્ર મોકલ્યો છે.

મંડળ દ્વારા આપવામાં આવેલા સૂચનો

• શાળાઓ શરુ થાય તે પહેલા તમામ બિલ્ડિંગને સેનિટાઈઝ કરવી પડશે.

• વિદ્યાર્થીઓના વર્ગને વધુમાં વધુ ૨૫-૩૦ વિદ્યાર્થીઓ પૂરતો સીમિત રાખવો પડશે.

• આગામી ત્રણથી ચાર વર્ષ માટે ફિક્સ પગારથી અથવા પ્રવાસી શિક્ષકો રાખવા પડશે.

• વિદ્યાર્થીઓ પાણીરુમમાં ભીડ ન કરે તે માટે તેઓ ઘરેથી જ પાણી લાવે

• એક બેંચ પર બંને ખૂણે એક-એક વિદ્યાર્થીને બેસાડવા પડશે.

• આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવો જાેઇશે એમ પણ કહેવામાં આવ્યું છે.

• આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવાનો રહેશે.

• ગૃહકાર્ય પર વધુ ભાર આપવાનો રહેશે.

• આગામી ૩ વર્ષ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો.

• જે શાળાઓ પાસે બસની વ્યવસ્થા છે, તેમને બસમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવા.

• આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય તહેવારોમાં શાળાના વિદ્યાર્થીઓને બાકાત રાખીને શાળાના સ્ટાફની હાજરી જરૂરી છે.

• વિદ્યાર્થીઓને રાજકીય મેળાવડામાંથી પણ બાકાત રાખવા, જેમ કે, વૃક્ષારોપણ, સરકાર દ્વારા આયોજીત રમતોત્સવ, સાંસ્કૃતિક મેળાવડામાંથી પણ વિદ્યાર્થીઓને બાકાત રાખવા.

રાજ્ય શાળા સંચાલક મહામંડળે કેટલાક અન્ય મહત્વના સૂચનો પણ આપ્યા છે

• ધોરણ ૧થી ૧૨માં હાલ અઠવાડિયામાં કુલ ૪૫ તાસ ભણાવવામાં આવે છે. તેના બદલે ૨૯ તાસ ભણાવવા જોઈએ.

• ચિત્રકલા, શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટરનું શિક્ષણ બાકાત રાખવાનું રહેશે.

• રિશેષનો સમય ઓછો રાખવો.

• હાલમાં ૮ તાસમાં ચાલતી શાળાઓ રોજના ૫ તાસ મુજબ ૨ પાળીમાં ચલાવી શકશે. જેમાં પ્રથમ પાળી ૧૧ વાગ્યાથી ૧.૪૫ સુધી અને બીજી પાળી ૨.૪૫થી ૫.૩૦ સુધીની રહેશે.

• બે પાળી વચ્ચે એક કલાકનો સમય સેનિટાઈઝ માટે મળશે.

• વેકેશનના દિવસોમાં ઘટાડો કરવામાં આવે

• ખાનગી ટ્યૂશનો, ક્લાસિસનું શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન થવું જોઈએ.

• અન્ય રાજ્યોમાંથી ધંધાદારી રીતે ચલાવવામાં આવતા ટ્યૂશન સંચાલકો ગુજરાતના વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલતા નથી અને તેઓ કોટા જેવા સેન્ટરોમાં અભ્યાસ કરે છે. લોકડાઉન દરમિયાન કોટાથી અનેક વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે સરકારને વ્યવસ્થા કરવી પડી હતી.

• ટ્યુશન ક્લાસિસનું રજિસ્ટ્રેશન થાય તો દુર્ઘટના થતી અટકશે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે.