આણંદ, તા.૨૩ 

સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના શામળભાઈ બી.પટેલની આજે ગુજરાત કો-આપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના ચેરમેનપદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ ખેડા જિ.સ.દૂ.ઉ.સં.લિ.ના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો અને બનાસકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ.ના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાત કો-આપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઇસ ચેરમેનપદે કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ.ના વલમજીભાઈ હુંબલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ પંચમહાલ જિ.સ.દૂ.ઉ.સં.લિ.ના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા કરવામાં આવ્યો હતો અને અમદાવાદ જિ.સ.દૂ.ઉ.સં.લિ.ના ચેરમેન મોહનભાઇ ભરવાડે ટેકો જાહેર કર્યો હતો.

જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણી આણંદના ડેપ્યૂટી કલેક્ટરની હાજરીમાં થઇ હતી. તેમાં જીસીએમએમએફના ૧૮ સભ્ય દૂધ સંઘોના તમામ ચેરમેન હાજર રહ્યાં હતાં. જીસીએમએમએફએમાં વર્ષ ૧૯૭૩થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવે છે. તે પ્રણાલિકાને પુનઃ જાળવી રાખી હતી.

જીસીએમએમએફ ભારતની રૂ.૩૮,૫૪૨ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટિંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે, જેનાં દ્વારા અમૂલ  બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટિંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. જીસીએમએમએફ તેનાં સભ્ય સંઘો દ્વારા રાજ્યના ૧૮,૫૬૨થી વધુ ગામડાંઓમાંથી ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ ૨૪૦ લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.

સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના શામળભાઈ પટેલ ચેરમેન છે અને ડેરી સહકારી માળખા સાથે પાછલાં ૩૦ વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ રૂ. ૫૭૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તથા ૩.૮૦ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજ્યના મોટો દૂધ ઉત્પાદક સંઘમાંનો એક એકમ છે. 

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન વલમજીભાઈ હુંબલ સહકારી ક્ષેત્રે ૧૧ વર્ષથી કાર્યરત છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વર્ષે રૂ. ૫૫૦ કરોડથી વધુ ટર્નઓવર કર્યું હતું. કટ્ઠ સાથે લગભગ ૧ લાખ દૂધ ઉત્પાદક સભ્યો જાેડાયેલાં છે.  

આ પ્રસંગે જીસીએમએમએફના ચેરમેને જણાવ્યું હતું કે, તેમનાં માટે ઘણાં સૌભાગ્ય અને ગૌરવની ક્ષણ છે કે તેમને ડો.કુરિયન દ્વારા જે સંસ્થાનું નેતૃત્વ કર્યું હતું ત્યાં ચેરમેન બનવાનો મોકો મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલાં ૭૦થી વધુ વર્ષથી સફળ છે. કારણ કે આ સંસ્થામાં સિદ્ધાંત અને નૈતિકતાના ગુણો ત્રિભુવનદાસ પટેલ અને ડો.કુરિયન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હતાં. સહકારી ખેડૂત આગેવાનો અને નિષ્ણાત તજજ્ઞોની મદદથી અમૂલ ફેડરેશન ખૂબ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરશે. 

વાઇસ ચેરમેનએ વધુમાં જણાવ્યું હતું કે, એનડીડીબી દ્વારા અમૂલ મોડલને સમગ્ર ભારતમાં પ્રસરાવવાથી ભારત આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો છે. જીસીએમએમએફ દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ધનિષ્ઠતાથી કામ કરતું રહેશે, જેથી સહકારી ચળવળને મજબુત બનાવી શકાય અને જરૂરિયાત હશે તો અન્ય રાજ્યના દૂધ ઉત્પાદકોને પણ ટેકો પૂરો પાડશે.