રાજપીપળા : દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા.૧૭ ઓક્ટોબર શનિવારથી એટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે.આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બન્યું હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે.જે પૈકી માત્ર ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ ઉપરથી મળી શકશે.પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈ પણ ટીકીટ બારી પરથી રૂબરૂમાં ટીકીટ ઈસ્યુ કરવામાં આવશે નહીં. 

કોવીડ પ્રોટોકોલના ચુસ્ત પાલન અંતર્ગત દરેક પ્રવાસીએ માસ્ક પહેરેલ હોવું ફરજિયાત છે.તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વ્યક્તિઓને ઉભા રહેવા માટે નિર્દિષ્ટ જગ્યાઓ ઉપર જ ઉભા રહેવાનું રહેશે.પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનીંગ અને સેનીટાઈઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વિવિધ સ્થળોએ પ્રવેશની જગ્યાઓ ઉપર સેનીટાઈઝર મશીનો મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટેની ખાસ બસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

પ્રવાસીઓ માટે ધારા ધોરણ પણ નક્કી કરાયા હતા જેમાં રીવર રાફટીંગ – રીવર રાફટીંગમાં કુલ ૩ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં પ્રથમ સ્લોટ સવારે ૧૦ઃ૦૦ થી હશે.પ્રત્યેક સ્લોટમાં ૨૫ પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે. એકતા નર્સરી – એકતા નર્સરીમાં ૧૦ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં સવારે ૮ થી સાંજે ૬ સુધી પ્રવેશ લઇ શકાશે.પ્રત્યેક સ્લોટમાં ૫૦ પ્રવાસીને પ્રવેશ અપાશે,આખા દીવસ દરમ્યાન ૫૦૦ પ્રવાસીઓ લાભ લઇ શકશે.