ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે માંડ માંડ શિક્ષણ તંત્ર થાળે પડી રહ્યું છે. સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ કરી દેવાયા છે. ત્યારે હવે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરાઈ છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી અંગેના મામલે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવાની છે. માધ્યમિકમાં  ૨૩૦૭ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૩૩૮૨ શિક્ષક સહાયકોની ભરતી કરાશે. તો રાજ્યની ગ્રાન્ટેડ કોલેજાેમાં ૯૨૭ અધ્યાપક સહાયક કુલ મળીને ૬૬૧૬ શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવામાં આવશે. 

શિક્ષણ વિભાગમાં હાથ ધરવામાં આવનારી ભરતી અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજાેમાં શિક્ષકો અને સહાયક અધ્યાપકોની ભરતી કરાશે. રાજ્યની વિવિધ કોલેજાેમાં અધ્યાપક સહાયકોની ૯૨૭ જગ્યાઓ, માધ્યમિક શાળાઓમાં ૨૭૦૭ જગ્યાઓ અને ઉચ્ચતર માધ્યમિકની ૩૩૮૨ જગ્યાઓ સહીત કુલ મળીને ૬૬૧૬ શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં કોલેજાેમાં ૯૨૭ અધ્યાપક સહાયકની ભરતી થશે. તો માધ્યમિક વિભાગમાં ૨૩૦૭ શિક્ષક સહાયકની ભરતી કરાશે. જેમાં ગુજરાતીમાં ૨૩૪ શિક્ષક સહાયકોની ભરતી થશે. સામાજિક વિજ્ઞાનમાં ૨૮૯ શિક્ષક સહાયકોની ભરતી કરાશે. અંગ્રેજીમાં ૬૨૪ શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. જયારે ગણિત-વિજ્ઞાનમાં ૧૦૩૯ શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. તો એકાઉન્ટ અને કોમર્સ વિષયમાં ૪૪૬ શિક્ષક સહાયકોની ભરતી કરાશે.

ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજાે અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૬૬૧૬ જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જગ્યાઓની ભરતી માટેની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર માનું છું. આ તમામ ખાલી જગ્યાઓને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ભરવામાં આવશે. આગામી દિવસોમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા એક અઠવાડિયામાં જાહેરાત આપીને શરુ કરવામાં આવશે.

જયારે શાળા-કોલેજાે શરુ કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો શરૂ કર્યા બાદ હવે બીજા તબક્કામાં અન્ય ધોરણોને પણ શરૂ કરવામાં આવશે. હાલ ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો શરુ કર્યા છે, જેમાં હાજરીનું પ્રમાણ સારું છે. દિવાળીના વેકેશન બાદ શાળાઓ ચાલુ થતી હોય છે, ત્યારે પહેલા કે બીજા દિવસે જે પ્રકારની હાજરી હોય છે તેના કરતાં વધુ સારા પ્રમાણમાં હાજરી કોરોનાની મહામારી બાદ જાેવા મળી છે. શાળાઓ શરુ કરાયાના પ્રથમ દિવસે જ ૩૫ ટકા તો બીજા દિવસે ૩૮ ટકા હાજરી થઈ હતી. તા. ૧૮મીથી પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં આવશે તેવો મને વિશ્વાસ છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાની તારીખો હવે પછી શાળાઓ શરૂ થયા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેની સત્તાવાર જાહેરાત કરાશે.