અમદાવાદ-

કોરોના સંકટ વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરીની શરૂઆત થવાની છે. ત્યારે ગુજરાત પણ વેક્સિનેશન માટે તૈયાર છે. ગુજરાતમાં આજે કોરોનાની વેક્સિન પહોંચવાની છે. આજે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેક્સિન પહોંચશે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણના મહા અભિયાનની શરૂઆત થવાની છે. ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન આજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ વેક્સિનને ગ્રીન કોરીડોરમાં ગાંધીનગર ખાતે લઈ જવાશે. જે રસ્તા પર વેક્સિન લઈ જવાની છે ત્યાં સમગ્ર જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી વેક્સિન લઈ જવામાં આવશે.આ રૂટ પર એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહીતના પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો રાજ્યના લોકો સુધી વેક્સિન પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મી તથા ફ્રંટલાઇન વર્કરોને વેક્સિન લગાવવામાં આવશે. વેક્સિનની કામગીરીમાં સંકળાયેલો તમામ સ્ટાફ કાર્યરત થઈ ગયો છે. કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. વેક્સિનને ખાસ ટેમ્પ્રેચરમાં રાખવામાં આવશે. તે માટે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.