ધનતેરસ બાદ કાળીચૌદશનો દિવસ હોય છે. આ દિવસે હનુમાનજી, શનિ મહારાજ, મહાકાળી, ક્ષેત્રપાળ-ભૈરવની ઉપાસના માટે ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીના મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઘણી માન્યતાઓ પ્રમાણે, આ દિવસને હનુમાન જયંતી પણ મનાવવાની પરંપરા છે. બજરંગબલી હનુમાનજીની સુનિશ્ચિત જન્મતિથિનો ઉલ્લેખ નથી. એટલે જ વર્ષમાં બે વખત હનુમાન જયંતી મનાવવામાં આવે છે. એક ચૈત્ર મહિનાની પૂનમે બીજી કાળીચૌદશના દિવસે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તો આજે આપણે આ ઉપાયોમાંથી કેટલાક ઉપાયો જાણીશું. આ દિવસે સિંદૂર અને ચમેલીના તેલથી એક કાગળ પર સ્વસ્તિક બનાવો અને પૂજા કરો. જે બાદ તેને તમારી તિજોરીમાં મૂકી રાખો. આ ઉપાયથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. આ સાથે ચમેલીના તેલનો અન્ય એક ઉપાય પણ છે. હનુમાનજીની આગળ ચમેલીના તેલનો દીવો કરો. આ ઉપાય કરવાથી મંગળ દોષ દૂર થાય છે.

આ દિવસે તમે ગરીબોને ભોજન કરાવો અને જરૂરી વસ્તુઓનું દાન કરો. તમારા ઇષ્ટદેવના નામની માળા કરો. સવારે સ્નાન કર્યા બાદ પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરીને પ્રગટાવો. હનુમાનજીના મંદિરે લાલ રંગની ધજા ચડાવો અને હનુમાનજીને સિંદૂરી ધોતી અર્પણ કરો. આ ઉપાયથી તમારા ઘરે આવનારી મુશ્કેલીઓ દૂર ભાગશે. ધનલાભ માટે આશીર્વાદ માગોધન પ્રાપ્તિ ઈચ્છતા હો તો આ દિવસે પીપળાના 11 પાન લઈને મંદિર જાવ અને તેના પર લાલ ચંદનથી શ્રીરામ લખો. આ પાનની માળા હનુમાનજીને ચઢાવો અને ધનલાભ થશે. આ દિવસે તમે શ્રીરામચરિત માનસ અથવા શ્રીરામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. આનાથી તમારો તણાવ દૂર થશે અને સકારાત્મક ઉર્જા તમારી આસપાસ રહેશે. તમારા બગડેલા કામ બની જશે. આ સાથે જો કોઇ નોકરીની સમસ્યા હોય તો તે દૂર કરવા માટે નાગરવેલના પાન પર બુંદીના બે લાડુ અને એક લવિંગ મૂકો. તેના પર ચાંદીની ભસ્મ લગાવીને હનુમાનજીને ચઢાવી દો. સાથે જ એક ગુલાબની માળા હનુમાનજીને ચઢાવો. આ ઉપાયથી નોકરી સંબંધિત સમસ્યા દૂર થશે.

(Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. લોકસત્તા જનસત્તા તેની પુષ્ટી નથી કરતું. અને તેના પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે.)