દિલ્હી-

પશ્ચિમ બંગાળમાં ત્રણ તબક્કાનુ વોટિંગ થઈ ચુકયુ છે અને ચોથા તબક્કામાં ૪૪ બેઠકો માટે મતદાન થવાનુ છે.જેમાંથી સાત બેઠકો પર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમે પણ ઝુકાવ્યુ છે. જેના પગલે ઓવૈસી પણ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાં નજરે પડી રહ્યા છે.એક તરફ ટીએમસીના નેતા અને સીએમ મમતા બેનરજી ઓવૈસી પર ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યાર ઓવૈસીએ હવે મમતા બેનરજી પર પલટવાર કરતા કહ્યુ હતુ કે, બંગાળના મુસ્લિમો વિકાસ ઈચ્છી રહ્યા છે અને તેમને તૃષ્ટિકરણની જરુર નથી.પીએમ મોદી અને મમતા બેનરજી એક જ છે.અમારી પાર્ટી સાત બેઠકો પર બહુ સારો દેખાવ કરશે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, મમતા બેનરજીએ બંગાળમાં દલિતો સાથે પણ દગો કર્યો છે.ટીએમસીને લાગે છે કે, મુસ્લિમો તેની વોટ બેન્ક છે.એક સાંસદ તરીકે મેં નંદીગ્રામમાં થયેલા આંદોલનમાં જે તે વખતે ભાગ લીધો હતો.પણ હવે મમતા બેનરજી મને ભાજપની બી ટીમ કહી રહ્યા છે.મમતા બેનરજીને ગુજરાતમાં થયેલા તોફાનો પર ચૂપ રહેવા માટે કેબિનેટમાં મંત્રીપદ અપાયુ હતુ.હવે આ જ મમતા બેનરજી વોટ માટે નાટક કરી રહયા છે.

ઓવૈસીએ કહ્યુ હતુ કે, બંગાળ બાદ યુપીમાં પણ અમારી પાર્ટી ચૂંટણી લડશે અને ચૂંટણી માટે અમારી પાસે બહુ મોટી યોજનાઓ છે.યુપી ચૂંટણીમાં અમે વ્યાપક સ્તરે ઝુકાવીશું.