ગાંધીનગર-

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને તેમણે જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અકીલના તંત્રી કિરીટ ગણાત્રાએ દાવો કર્યો હતો કે, આગામી મુખ્યમંત્રી કોઈ પાટીદાર જ હશે? જોકે રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે ગુજરાતની કમાન નિતીન પટેલ, ગોરધન ઝડપીયા, અને મનસુથ માંડવિયા તેમજ પુરૂષોતમ રૂપાલા હાલ રેસમાં ચાલી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પાર્ટી કયા નેતા પર પોતાની પસંદગીનો રળશ ઢોળી ગુજરાતની કમાન સોપે છે. 

તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.