સનાતન ધર્મમાં ગંગાને મોક્ષ દાયિની કહેવામાં આવે છે. આજે પણ મૃત્યુ બાદ મનુષ્યની અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અસ્થિ વિસર્જન માટે હિંદુ સમાજમાં સૌથી વધારે મહત્ત્વ ગંગા નદીનું જ માનવામાં આવે છે. હરિદ્વારમાં ‘હર કી પૌડી’માં કપાલક્રિયા અને અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. તેની પાછળનું કારણ છે ગંગાનો ઇતિહાસ છે.

ગરૂડ પુરાણ સહિત અનેક ગ્રંથમાં ગંગાને દેવી નદી અથવા સ્વર્ગની નદી કહેવામાં આવી છે. ગંગા સ્વર્ગમાંથી આવતી નદી છે, જેને ભગીરથ પોતાની તપસ્યાથી પૃથ્વી ઉપર લઇને આવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે, ગંગા ભલે દરિયામાં જઇને મળતી હોય, પરંતુ ગંગાના પાણીમાં વહેતી અસ્થિઓથી પિતૃઓને સીધું સ્વર્ગ પ્રાપ્ત થાય છે. ગંગાનો નિવાસ આજે પણ સ્વર્ગ જ માનવામાં આવે છે. આ વિચાર સાથે જ મૃત દેહોની અસ્થિઓ ગંગામાં વહેતી કરવામાં આવે છે, જેના દ્વારા મૃતાત્માને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, ગંગાતટ ઉપર દેહ ત્યાગ કરનારને યમદંડનો સામનો કરવો પડતો નથી. મહાભાગવતમાં યમરાજે પોતાના દૂતને કહ્યું છે કે, ગંગાતટ ઉપર દેહ ત્યાગ કરનાર પ્રાણી વગેરે દેવતાઓ માટે પણ નમસ્કાર યોગ્ય છે, તો મારા દ્વારા તેમને દંડિત કરવાની વાત જ નથી આવતી. તે પ્રાણીઓની આજ્ઞાનો હું સ્વયં આધીન છું.

આ જ કારણે અંતિમ સમયમાં લોકો ગંગા કિનારે નિવાસ કરવાનું ઇચ્છે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, ઇચ્છા વિના પણ જો કોઇ વ્યક્તિનું ગંગાજીમાં નિધન થઇ જાય તો આવા વ્યક્તિ બધાં જ પાપથી મુક્ત થઇને ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થાય છે. ગંગામાં અસ્થિ વિસર્જન પાછળ મહાભારતની એક માન્યતા છે કે, જેટલાં સમય સુધી ગંગામાં વ્યક્તિની અસ્થિ પડેલી રહે છે તે વ્યક્તિ તેટલાં સમય સુધી સ્વર્ગમાં વાસ કરે છે.