સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો એક ગુનો નોંધાયો હતો. જેમાં હરસોલ ગામની સીમમાં કાન્તાબેન પગી નામની એક મહિલાની ૨૯મી સપ્ટેમ્બરે લાશ મળી આવી હતી. આ લાશ મળી આવતા પોલીસે તેનું અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતક મહિલાનું માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મર્ડર કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. દરમિયાન તલોદ પોલીસ મથકમાં આ અંગે અનડીટેક્ટ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠા એસઓજી અને તલોદ પોલીસે તપાસ કરી હતી. પોલીસે આડોશી પાડોશીઓની પૂછપરછ કરતા શંકાની સોય ઉર્મિલા પગી પર ઘેરાઈ હતી. પોલીસે ઉર્મિલા પગીની આકરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ‘પોતાના પતિ સાથે મૃતકને આડાસંબંધ હોવાના શકના કારણે પાડોશી મહિલા અવારનવાર ઝઘડો કરતી હતી. જેના કારણે તેને લાગી આવતું હતું. આ બાબતે ૨૪મી સપ્ટેમ્બરે બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. દરમિયાન એ દિવસે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ મૃતક મહિલા લાકડા વીણવા ગઈ હતી ત્યારે આરોપી ઉર્મિલાએ તેની જ કૂહાડીના ઘા ઝીંકી અને હત્યા નીપજાવી હતી. મૃતક મહિલાની બંગડી પણ પોલીસે બનાવવાળી જગ્યાએથી કબ્જે કરી હતી ત્યારબાદ સાબરકાંઠા એસ.પી.એ આપેલી સૂચના મુજબ તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.