ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે.મુખ્યપ્રધાને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે 102 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મી.ની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિસ્તારોના લાખો નાગરિકો, ગ્રામજનો અને ગામોના લાંબા ગાળાના હિતને અનુલક્ષી આ યોજના મંજૂર કરી છે. આના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 24 ગામોની અંદાજે 2110 હેકટરથી વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રુપ બનશે. આ ઉપરાંત, કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. આ સાથે, સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. આથી, સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે. જળસંપતિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ 46 ભરતી નિયંત્રક-બંધારા, 18 પુન:પ્રભરણ જળાશયો, 34 પુન:પ્રભરણ તળાવો, 397 કૂવાઓ તેમજ 220 કિ.મી. લંબાઇની સ્પ્રેડિંગ કેનાલ અને 678 નાના માટો ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ સમગ્ર કામોથી સૌરાષ્ટ્ર વિસ્તારના 87,797 હેક્ટર વિસ્તારને ફાયદો થયો છે. એટલું જ નહીં, ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ થયેલી કામગીરીથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થયું છે તેમજ દરિયાઇ વિસ્તારમાં ખારાશ આગળ વધતી પણ અટકી છે.